શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલી ગયો હતો. શરૂઆતી કારોબારમાં તેજી રહ્યા બાદ અંતે વેચવાલી અને અન્ય નકારાત્મક પરિબળો વચ્ચે મોટો કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેંસેક્સ કારોબારના અંતે ૪૩૦ પોઇન્ટ ઘટીને ૩૩૩૧૭ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૧૦ પોઇન્ટ ઘટીને ૧૦૨૪૯ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં નેશનલ સ્ટોક એક્સચેંજમાં બાવન સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી. ઇન્ડેક્સ ખુબ નીચી સપાટીએ પહોંચ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેંક, આંધ્ર બેંકમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન એનએસઈના બાવન સપ્તાહની નીચી સપાટીએ રહ્યો હતો. એશિયન શેરબજારમાં આજે રિબાઉન્ડની સ્થિતિ જોવા મળી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફ ઉપર લાદવામાં આવેલા ચાર્જને લઇને રાજકીય પક્ષો તરફથી દબાણનો સામનો કરી રહ્યા છે. આના કારણે ટ્રેડવોરની શક્યતા દેખાઈ રહી છે. જાપાની કારોબારમાં પાંચ દિવસથી ચાલતી મંદી ઉપર બ્રેક મુકાઈ હતી અને જાપાન નિક્કીમાં ૧.૮ ટકાનો ઉછાળો પાંચ મહિનાની નીચી સપાટીથી જોવા મળ્યો હતો. અમેરિકી શેરબજારમાં નોંધાયેલી તેજીની અસર સવારમાં જોવા મળી હતી. જો કે મોડેથી તમામ રિકવરી ખતમ થઇ હતી અને અંતે મોટો ઘટાડો ભારતીય શેરબજારમાં જોવા મળ્યો હતો. અમેરિકી ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૩૩૬ પોઇન્ટનો અથવા તો ૧.૩૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. જેથી તેની સપાટી ૨૪૮૭૪ રહી હતી. આવી જ રીતે એસએન્ડપી ૫૦૦ ૨૯ પોઇન્ટ સુધરીને ૨૭૨૧ની સપાટી પર રહ્યો હતો. નાસ્ડેક કમ્પોઝિટમાં ૭૩ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૭૩૩૦ નોંધાઇ હતી. ગયા બુધવારના દિવસે જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.ગઇકાલે સોમવારના દિવસે બીએસઈ સેંસેક્સમાં ૩૦૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૩૭૪૭ નોંધાઈ હતી. જ્યારે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૯૯ પોઇન્ટ ઘટીને ૧૦૩૫૯ની સપાટીએ રહ્યો હતો.કારોબારી હાલ દિશાહિન થયેલા છે.