શેરબજારમાં આજે તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. એશિયન શેરબજારમાં મંદી વચ્ચે સેંસેક્સમાં એક ટકાની આસપાસનો ઘટાડો રહ્યો હતો. બીએસઈ સેંસેક્સમાં ૩૦૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૩૭૪૭ નોંધાઈ હતી. જ્યારે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૯૯ પોઇન્ટ ઘટીને ૧૦૩૫૯ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૩.૨૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. જિંદાલ સ્ટીલ અને પાવર, જિંદાલ સ્ટેઇનલેસ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે તેઓ સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટની આયાત ઉપર ટેરિફ લાગૂ કરશે. આનાથી અમેરિકી ઇન્ડસ્ટ્રીને રક્ષણ મળશે પરંતુ ભારતીય લોકોને ફટકો પડ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૧.૫૭ ટકાનો ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે અમેરિકી શેરબજારમાં વોલ સ્ટ્રીટમાં રિબાઉન્ડની સ્થિતી રહી હતી. જો કો તેની અસર આજે સવારમાં જોવા મળી ન હતી. એશિયન શેરબજારમાં નબળાઇ રહી હતી. રોકાણકારો અમેરિકાના નેતૃત્વમાં ટ્રેડ વોરને લઇને ચિંતિત છે. બજાર પર તેની પણ અસર રહેવાની શક્યતા દેખાઇ રહી છે. ગયા બુધવારના દિવસે જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. ભાજપના નેતૃત્વમાં એનડીએ દ્વારા જોરદાર દેખાવ ચૂંટણીમાં કરવામાં આવ્યા બાદ તેની અસર નવા કારોબારી સત્ર અને દલાલ સ્ટ્રીટ પર જોવા મળી શકે છે. અન્ય કેટલાક પરિબળોની અસર પણ થનાર છે. જેમાં વૈશ્વિક પરિબળો, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ઓર્ડર અને માઇક્રો ઇકોનોમિક પરિબળોની અસર રહે તેવી શક્યતા છે. અનેક સેન્ટ્રલ બેંક રીઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા,બેંક ઓફ કેનેડા, ઇસીબી અને બેંક ઓફ જાપાન દ્વારા આગામી સપ્તાહમાં તેમના પોલીસી નિર્ણયની જાહેરાત કરવામાં આવનાર છે. ઇસીબી અને બેંક ઓફ જાપાન તેમના રેટ યથાવત રાખી શકે છે.
ઇક્વિટી, ફોરેક્સ અને કોમોડિટી માર્કેટમાં શુક્રવારના દિવસે રજા રહી હતી. સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.