કરોડો ક્રિકેટ ચાહકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચ રમાનાર છે. આ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતના સ્ટાર ખેલાડીઓ આ ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને અન્ય સ્ટાર ખેલાડી આમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં આ ટીમમાં શિખર ધવન વાઇસ કેપ્ટન તરીકેની ભૂમિકામાં રહેશે. જો કે આ શ્રેણીમાં પણ ભારત હોટફેવરટી તરીકે રહેશે. ટીમમાં સામેલ કરવામાં આવેલા યુવા ખેલાડીઓને શાનદાર દેખાવ કરવાની તક છે. રાઉન્ડ રોબિન ફોર્મેટના આધાર પર આ શ્રેણી રમાનાર છે. વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની બંનેને આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યાને પણ આરામ આપવામાં આવ્યો છે. દિપક હુડા અને વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય ટીમમાં વિજય શંકર અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિષભ પંત બીજા વિકેટકીપર તરીકે રહેશે. તમામ મેચો કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે લાઇટ હેઠળ રમાનાર છે. ત્રણ ટીમો એક બીજા સામે બે વખત ટકરાશે. ટોપની બે ટીમો ૧૮મી માર્ચના દિવસે રમાનાર ફાઇનલમાં ટકરાશે. શ્રીલંકન ટીમ યુવા ખેલાડીઓથી ભરચક છે જેમાં દિનેશ ચાંદીમલ કેપ્ટન તરીકેની ભૂમિકામાં છે. શ્રીલંકાની સ્વતંત્રતાના ૭૦ વર્ષની પૂર્ણાહુતિના પ્રસંગે આ શ્રેણીનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ શ્રેણીમાં ભારત અને શ્રીલંકાની સાથે ત્રીજી ટીમ તરીકે બાંગ્લાદેશ છે. ડી સ્પોર્ટસ પર આ મેચોનુ પ્રસારણ કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે ભારતે હાલમાં દક્ષિણ આફ્રિકા પર વનડે બાદ ટ્વેન્ટી શ્રેણીમાં પણ ૨-૧થી જીતી લીધી હતી. છેલ્લી ટ્વેન્ટી મેચમાં વિરાટ કોહલી રમ્યો ન હતો અને રોહિત શર્મા કેપ્ટન તરીકે રહ્યો હતો. છતાં ભારતે શાનદાર જીત મેળવી હતી. આવી સ્થિતીમાં આ શ્રેણીમાં રોહિત પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.સેન્ચુરિયન ખાતે ૨૧મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી બીજી ટ્વેન્ટી મેચ યજમાન દક્ષિણ આફ્રિકાએ જીતીને શ્રેણીને સજીવન રાખવામાં સફળતા મેળવી હતી. યજમાન ટીમે ભારતને બીજી ટ્વેન્ટી મેચમાં છ વિકેટે હાર આપી હતી. પ્રથમ ટ્વેન્ટી મેચ જીતતા પહેલા ભારતે યજમાન દક્ષિણ આફ્રિકા પર વનડે શ્રેણી ૫-૧થી જીતી લેવામાં સફળતા મેળવી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં લાંબી શ્રેણી રમ્યા બાદ વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, જશપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી હાલમાં પૂર્ણ થઇ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમની પસંદગી કરતી વેળા સ્ટાર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમ વર્તમાન શ્રેણીમાં બે મેચ શ્રીલંકા સામે અને બે મેચો બાંગ્લાદેશની ટીમ સામે રમાનાર છે. શ્રીલંકામાં રમાનારી તમામ મેચોને લઇને સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરી દેવામાં આવી છે. તમામ ટીમોને પુરતી સુરક્ષા આપવામાં આવી રહી છે. મેદાન અને હોટલની આસપાસ પણ સુરક્ષા વધારવામાં આવી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ