પર્યટક સ્થળ ઝાંઝરી ખાતેના ધોધમાં ન્હાવા પડેલા અમદાવાદના શાહપુર વિસ્તારના રહેવાસી એવા બે યુવકો ડૂબી ગયાની ઘટના સામે આવી છે. શાહપુર વિસ્તારના બે યુવકોના ડૂબી જવાથી મોતના સમાચારને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને માતમની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, ઝાંઝરી ખાતે પણ સાહેલાણીઓમાં ડરની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા બંને યુવકો તેમના મિત્રો સાથે અરવલ્લી જિલ્લાના પર્યટક સ્થળ એવા ઝાંઝરી ખાતે ફરવા ગયા હતા. દરમ્યાન શાહપુરના વતની એવા બંને મિત્રો ઝાંઝરીના ધોધમાં ન્હાવા પડયા પરંતુ અચાનક જ તેઓ પાણીના વહેણમાં સમતોલન ગુમાવતાં ડૂબ્યા હતા. આ દ્રશ્યો જોઇ બાકીના મિત્રો અને સ્થાનિક લોકોએ બંને યુવકોને બચાવવાના અથાગ પ્રયત્નો કર્યા પરંતુ તેમને બચાવવામાં સફળતા મળી ન હતી. બાદમાં ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના શાહપુર ખાતેના નિવાસસ્થાને તેને મોકલવાની તજવીજ હાથ ધરાઇ હતી. બીજીબાજુ, બંને યુવક મિત્રોના ઝાંઝરીમાં ડૂબી જવાના સમાચારની જાણ થતાં જ શાહપુર વિસ્તારમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવની જાણ થતાં પોલીસે પણ તપાસ આરંભી હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. મૃતક યુવકોના નામ નીલેશ અને જિતેન્દ્ર પરમાર હોવાનું તપાસમાં જણાયું હતું.
આગળની પોસ્ટ