બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ સમાજવાદી પાર્ટીની સાથે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન અંગેના અહેવાલને રદિયો આપ્યો છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, બે સીટો ઉપર પેટાચૂંટણી અને રાજ્યસભા ચૂંટણી માટે હાલમાં એક હાથમાં લો અને બીજા હાથમાં આપોને લઇને સમજૂતિ થઇ છે. તેમણે કહ્યું હતું કે, બહુજન સમાજ પાર્ટી પહેલાની જેમ પેટા ચૂંટણીમાં ઉતરી નથી અને કાર્યકરોને ભાજપની સામે સૌથી મજબૂત ઉમેદવારને મત આપવા માટે કહેવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની હાલત ખુબ જ કફોડી બનેલી છે. બંને પાર્ટીઓ ભાજપની સામે ફેંકાઈ ચુકી છે. ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટ પર પેટા ચૂંટણીમાં બંને પાર્ટીએ હાથ મિલાવી લીધા છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણીમાં પણ સમાજવાદી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવાની વાત કરી છે. ત્યારબાદ મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ૨૦૧૯માં પણ બંને પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડશે. આજે માયાવતીએ કહ્યું હતું કે, મિડિયામાં આવેલા અહેવાલ આધારવગરના છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે સપા અને બહુજન સમાજ પાર્ટી માટે ગઠબંધન થઇ ગયા હોવાના અહેવાલ આધારવગરના છે. ઉત્તર પ્રદેશ અથવા તો અન્ય કોઇપણ રાજ્યમાં જ્યારે પણ પાર્ટીના અન્ય પક્ષ સાથે ગઠબંધનની વાત થશે ત્યારે ગુપ્તરીતે થશે નહીં. સત્તાવારરીતે જાહેરાત કરવામાં આવશે. ૧૯૯૩માં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એક સાથે ચૂંટણી લડી ચુક્યા છે તે વખતે રામ લહેરને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. તે વખતે સપા અન ેબસપા ગઠબંધનને ૧૭૬ સીટો મળી હતી જ્યારે ભાજપને ૧૭૭ સીટો મળી હતી. ગેસ્ટ હાઉસ કૌભાંડ બાદ ગઠબંધન તુટી ગયા પછી ક્યારે પણ આ બંને પક્ષો એક સાથે આવી શક્યા નથી. અલબત્ત અખિલેશ યાદવ અનેક વખતે ખુલ્લા મંચથી ગઠબંધનની ઓફર આપી ચુક્યા છે પરંતુ માયાવતીએ આ ઓફર સ્વીકારી નથી. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર અને ફુલપુર લોકસભા પેટા ચૂંટણીને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા પંખુડી પાઠકે કહ્યું છે કે, લોકસભા પેટાચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી સમાજવાદી પાર્ટીને ટેકો આપશે. ગોરખપુર અને ફુલપુર લોકસભા સીટો ઉપર પેટાચૂંટણીને લઇને પ્રતિષ્ઠિત જંગ થનાર છે. માયાવતીએ આ અંગેની જાહેરાત આજે કરી દીધા બાદ આ બંને પક્ષો પેટાચૂંટણીમાં સાથે આવશે.
આગળની પોસ્ટ