આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ કેન્દ્ર સરકાર સમક્ષ પોતાના રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માગણી કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં ટીડીપીના પ્રમુખ ચંદ્રાબાબુએ કહ્યુ છે કે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ. આંધ્રપ્રદેશની ભાવનાઓ સાથે રમત રમવામાં આવે નહીં. મહત્વપૂર્ણ છે કે ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી હાલ ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનમાં સામેલ છે. ચંદ્રાબાબુએ ક્હ્યુ છે કે આંધ્રપ્રદેશના લોકોનું અપમાન કરાઈ રહ્યું છે. લોકોએ આને કારણે જ કોંગ્રેસને સત્તામાંથી દૂર કરી હતી. ચંદ્રાબાબુ નાયડુએ ક્હ્યુ છે કે વડાપ્રધાન મોદી પોતાના ભાષણોથી આંધ્રપ્રદેશ માટે નવી આશાઓ જગાવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવાનો વાયદો કરે છે તેથી આંધ્રપ્રદેશના લોકોને આશા છે કે કેન્દ્ર સરકાર તેમની સાથે ન્યાય કરશે. કોંગ્રેસે હંમેશા આંધ્રપ્રદેશ સાથે અન્યાય કર્યો છે. ચંદ્રાબાબુએ જણાવ્યુ છે કે તેઓ સાડા ત્રણ વર્ષમાં ૨૯ વખત દિલ્હી આવ્યા અને આંધ્રપ્રદેશની ભલાઈ માટે ઘણાં પ્રધાનોની મુલાકાત કરી છે. પરંતુ કોઈ સમાધાન થયું નથી. તેમણે કહ્યુ છે કે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં આપવાની વાત સમજમાં આવતી નથી અને કેન્દ્ર સરકારે આનો જવાબ આપવો જોઈએ. ટીડીપીના પ્રમુખે કહ્યુ છે કે દરેક પ્રસંગે કેન્દ્ર સરકારને તેઓ પોતાનું સમર્થન આપે છે પરંતુ કેન્દ્ર તરફથી તેમને સારું પરિણામ મળી રહ્યું નથી. આંધ્રપ્રદેશના લોકો ખુશ નથી. ચંદ્રાબાબુએ કહ્યુ છે કે તેઓ આંધ્રપ્રદેશ માટે હંમેશા લડતા રહેશે. બજેટમાં આંધ્રપ્રદેશની અવગણનાથી નારાજ ચંદ્રાબાબુ નાયડુએ કડક વલણ અખત્યાર કરતા ક્હ્યું છે કે તેમણે ક્યારેય મિત્ર ધર્મ તોડયો નથી. જો તેમની વાત માનવામાં નહીં આવે.. તો તેઓ નમસ્કાર કરીને પોતાના માર્ગે આગળ વધશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ