મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ લીધેલી મુલાકાત દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે આર્થિક માપદંડ મુજબ આરક્ષણ આપવાની વાત કરી હતી ત્યારે તમામ સ્તરેથી તેમની ટીકા શરૂ થયા પછી પવારે હવે ખેડૂતોને પણ અનામત આપવાની માંગણી કરી છે. સામાજિક, આર્થિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત ખેડૂતોને અનામત આપવામાં આવે, એવું પવારે જણાવ્યું હતું. દિવસે દિવસે ખેતી ઓછી થતી જાય છે. ૮૨ ટકા લોકો પાસે બે એકરથી પણ ઓછી ખેતીની જમીન છે. ૭૦થી ૭૨ ટકા ખેતર માટે પાણીની વ્યવસ્થા નથી. એટલે આર્થિક દૃષ્ટિએ પછાતો સાથે ખેતીનો વ્યવસ્થા કરતા વર્ગને ખેડૂત તરીકે અનામત આપવું જોઇએ, એવું નિવેદન પવારે કર્યું હતું.ખેડૂતોમાં તમામ સમાજના લોકોનો સમાવેશ થાય છે. આદિવાસીથી લઇ ઓબીસી, મરાઠા સમાજના લોકો પણ ખેતી કરે છે. અનામત આપવાના માપદંડ નક્કી કરતી વખતે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક દૃષ્ટિએ નબળા ઘટકોને પણ ધ્યાનમાં લેવા જોઇએ, એવું મારું માનવું છે, એમ પવારે વધુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખેડૂતોને કરજમાફી સહિત અને સુવિધાઓ-રાહતો આપવામાં આવતી હોવા છતાં અનેક ખેડૂતો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત છે. ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા અનેક યોજના ચલાવાય છે. રાહતના દરે વીજળી પૂરી પાડવામાં આવે છે. સિંચાઇ પ્રોજેકટ દ્વારા ખેતર માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.