અત્યાર સુધી દેશના ૪ કરોડ યુવાનોએ મોદી સરકાર સાથે પ્રત્યક્ષરીતે નોકરી માંગી છે, પરંતુ સરકારે માત્ર ૨ ટકા એટલેકે ૮ લાખ યુવાનોને જ નોકરી આપવામાં મદદ કરી છે. મોદી સરકાર પોતાના ૪ વર્ષના કાર્યકાળમાં યુવાનોને નોકરી ના આપવા અંગે પહેલેથી જ ટીકાનો સામનો કરી રહીં છે. એવામાં આ માહિતી મોદી સરકારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. અહીં જણાવવાનું કે ભાજપે વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં દર વર્ષે ૧ કરોડ લોકોને નોકરી આપવાનું વચન આપ્યું હતું.૪ કરોડ યુવાનોએ કેન્દ્ર સરકારના જૉબ પોર્ટલ નેશનલ કેરિયર સર્વિસ એનસીએસ પર ખુદની નોંધણી કરી મોદી સરકાર પાસેથી ડાયરેક્ટ નોકરી માંગી હતી. પરંતુ આ ૪ કરોડમાંથી માત્ર ૨ ટકા એટલેકે ૮ લાખ યુવાનોને નોકરી મેળવવામાં સરકારે મદદ કરી છે. તેમાંથી કોને નોકરી મળી તેની ભાળ હજુ મળી નથી. કેન્દ્ર સરકારનો દાવો છે કે એનસીએસ પર જે યુવાનોએ પોતાની નોંધણી કરી હોય છે તેવા યુવાનોને નોકરી શોધવામાં એનસીએસ મદદ કરે છે. યુવાનો આ પોર્ટલ પર જોઇ શકે છે કે કંઇ જગ્યાએ નોકરીઓની વેકેન્સી હોય છે અને તેઓ આ પોર્ટલના માધ્યમથી નોકરી માટે એપ્લીકેશન પણ કરી શકે છે.એનસીએસ પોર્ટલ પર ૧૪.૮૬ લાખ કર્મચારી રજીસ્ટર્ડ છે. એનસીએસ પોર્ટલ નોકરી માંગનારા અને નોકરી આપનારા લોકો વચ્ચે એક સેતુનું કામ કરે છે. રજીસ્ટર્ડ કર્મચારી પોર્ટલ પર રજીસ્ટર્ડ નોકરી માંગનારા યુવાનોની પ્રોફાઇલની ટૂંકી યાદી તૈયાર કરે છે. જો નોકરી માંગનારો વ્યક્તિ ઈન્ટરવ્યૂ પૂર્ણ કર્યા બાદ અન્ય જરૂરી શરતો પૂર્ણ કરી નાખે તો તેને નોકરી મળે છે.રેટિંગ એજન્સી ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ડીકે જોશીએ એક વેબસાઈટને જણાવ્યું હતું કે એનસીએસ પોર્ટલનો આ ડેટા નોકરી ઉભી કરવા માટેની જરૂરિયાત પર ભાર મૂકે છે. વર્તમાન પરિસ્થિતિમાં અમારી પાસે અભ્યાસુ યુવાનોની સંખ્યા વધારે છે અને અમે તેમાંથી થોડા લોકોને નોકરી આપી શક્યા છે. મહત્વનું છે કે, ફોર્મલ સેક્ટરમાં જેટલા વ્યક્તિઓ નોકરીની માંગ કરી રહ્યાં છે, તેટલી નોકરીઓ ઉભી થઇ રહીં નથી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ