માલદીવમાં બીજાં સપ્તાહે ઇમરજન્સી જાહેર કર્યા બાદ અહીં આવનારા ટૂરિસ્ટ્સ પોતાની યાત્રા રદ કરી રહ્યા છે. અહીંના ટૂર ઓપરેટર્સ અનુસાર, સરકારે ઇમરજન્સી દરમિયાન વિશ્વાસ અપાવ્યો હતો કે, પર્યટન માટે પ્રખ્યાત આ આઇલેન્ડ પર પરિસ્થિતિ સામાન્ય રહેશે. તેમ છતાં દરરોજ સેંકડો ટૂરિસ્ટ્સ અહીં પોતાની હોટલ બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. જેની અસર અહીંની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, ટૂરિઝ્મનું માલદીવની અર્થવ્યવસ્થામાં એક તૃતિયાંશ યોગદાન છે.પ્રેસિડન્ટ અબ્દુલ્લા યમીન દ્વારા ઇમરજન્સી જાહેર કર્યા બાદ ચીન, ભારત, અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકોને અહીં પ્રવાસને લઇને ચેતવણી જાહેર કરી છે.પ્રેસિડન્ટ અબ્દુલ્લાએ પોતાના દેશમાં ઇમરજન્સી જાહેર કર્યા બાદ એ ત્રણ જજની ધરપકડના પણ આદેશ આપ્યા હતા, જેઓએ અહીંના વિપક્ષ નેતાઓને જેલમાંથી મુક્ત કરવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદથી અહીં ટૂરિઝ્મની પરિસ્થિતિ લથડી છે અને વિદેશી પર્યટકોએ પોતાની યાત્રા રદ કરવાનું શરૂ કરી દીધું છે.પેરેડાઇઝ આઇલેન્ડ રિસોર્ટ વિલા ગ્રુપના માલિકે જણાવ્યું કે, ઇમરજન્સી બાદ દરરોજ ૫૦થી ૬૦ રૂમ કેન્સલ થઇ રહ્યા છે. આ દેશમાં મોજૂદ અમારી તમામ પ્રોપર્ટીઝની આવી જ પરિસ્થિતિ છે.પેરેડાઇઝ રિસોર્ટ વિલા ગ્રુપની માલદીવમાં ૨૮૨ રૂમવાળી હોટલ છે, આ રિસોર્ટ માલેથી સ્પીડબોટ દ્વારા ૨૦ મિનિટના અંતરે છે.ઇમરજન્સીથી સૌથી વધારે પ્રભાવિત માલે જ છે અને વિદેશી મહેમાનો હવે માલદીવની યાત્રાઓ ટાળી રહ્યા છે.
પાછલી પોસ્ટ