હાલમાં હજી શિયાળો પુરો થયો નથી અને ઉનાળાની શરૃઆત પણ થઇ નથી. ત્યાં તો છોટાઉદેપુર જિલ્લામાં પાણીની પારાયણ શરૂ થઇ જવા પામી છે જેનો તાદ્દશ્ય પુરાવો હાફેશ્વર ખાતે જોવા મળી રહ્યો છે. હાફેશ્વર ખાતે આવેલું ઐતિહાસિક શિવાલય જે ડુબાણમાં હતું તે નર્મદાની જળ સપાટી ઘટી જવાથી શિવાલયની ટોચ ખુલ્લી થઇ જતા શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે.સરદાર સરોવર ડેમનો સ્ત્રાવ વિસ્તાર લગભગ ૨૦૦ કિલોમીટર જેટલો ફેલાયેલો છે. ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવામાં આવતા ૧૩૮ મીટર કરતા વધુ જળસંગ્રહ થવા પામ્યો હતો. પરંતુ સરદાર સરોવર ડેમમાંથી કેનાલમાં પાણી છોડાય છે. આ પાણી પહોંચાડવામાં કેટલીક જગ્યાએ પાણીનો ખોટો વેડફાટ પણ થતો જોવા મળતો હતો. પરિણામ સ્વરૃપે સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ ખૂબ જ ઓછો થઇ જવા પામ્યો હતો.છોટાઉદેપુર જિલ્લાના અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા હાફેશ્વર કાતે નર્મદાનું જળ સ્તર ખૂબ ઓછુ થઇ જવા પામ્યુ છે. હાફેશ્વર ગામ આખુ ડુબાણમાં ગયેલુ છે. આ ગામનું એક ઐતિહાસિક શિવાલય પણ આખે આખુ ડુબાણાં જતુ રહ્યુ હતું અને અત્યાર સુધી આ શિવાલયની માત્ર ધજા જ જોવા મળતી હતી અને ઉનાળાના સમયમાં ધજા આખી ખુલ્લી થઇ જતી હતી. પરંતુ ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમમાંથી કેનાલમાં છોડાતા હાફેશ્વર ખાતેના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોઇ શકાય છે.હાફેશ્વર ખાતે જયાં પાણીથી ભરેલો વિસ્તાર હતો તે હાલ ક્રિકેટનું મેદાન બની જવા પામ્યુ છે. નર્મદા નદીનો જે ભાગ છે તેની ચારે બાજુ જે નાના નાના ડુંગરો આવેલા છે તેના ઉપર લગભગ બે મીટર ઉંચે પાણી હતું. જે હાલ ઓછુ થઇ જતા ડુંગર ઉપર જોઇ શકાય છે. હાફેશ્વર ખાતે નદીના પાણીના ડુબાણમાં વીજ થાંભલા જે આખે આખા ડૂબી ગયા હતા જે હાલ ઉપરના ભાગેથી પાણીમાં દેખાઇ રહ્યા છે. એટલું જ નહી હાફેશ્વરનું ઐતિહાસિક શિવાલયની ટોચનો લગભગ બે મીટર જેટલો હિસ્સો પાણીમાંથી બહાર દેખાઇ રહ્યો છે.હાફેશ્વર ખાતે જળસ્તર ઘટી જતા દૂર દૂર સુધી જમીન ખુલ્લી થઇ જવા પામી છે. જયાં હાલ સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. હાલ ખુલ્લી થયેલી જમીનમાં મોટી મોટી ફાટ પડેલી જોવા મળી રહી છે. જે આવનાર દિવસોની ભયાનક જળસંકટની ચાડી ખાય છે. આ ફાટ જોતા એવું લાગે છે કેે, હજુ ઉનાળાની શરૃઆત નથી ત્યાં આવી પરિસ્થિતિેો છે તો ઉનાળામાં શું હાલત થશે તેના વિચાર માત્રથી કમકમાટી આવી જાય છે.