ડાકોર ટેમ્પલ મંદિરની કમિટિ વધુ એક વખત વિવાદમાં સપડાઇ છે. ડાકોર રણછોડરાય મંદિરનાં મેનેજર રૂપેશ શાસ્ત્રી જેઓ લગભદ દોઢ વર્ષથી મેનેજરની પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે. તેમના મનસ્વી વર્તનનાં કારણે મંદિરનાં પુજારીઓ અને અન્ય સેવકો ખુબ જ નારાજ હતાં. રણછોડરાય મંદિરનાં પુજારી સહિત સેવકોએ મેનેજર વિરૂદ્ધ મનસ્વી નિર્ણયો લેવાનો આક્ષેપ પણ કર્યો હતો અને યાત્રાધામ ડાકોર મંદિરના મેનેજર અને સેવકો વચ્ચેનો વિવાદ આજે વધુ વકર્યો હતો.મેનેજર અને સેવકોની આ નારાજગી આજે બપોરે સામે આવી હતી. રોષે ભરાયેલા મંદિરનાં બે સેવકો દ્વારા મેનેજરનાં ચેમ્બરને તાળું મારી દેવામાં આવ્યુ હતું. બાદમાં જ્યારે સાંજે ૪ વાગ્યાની આસપાસ મંદિરનાં દ્વાર ખુલતા મેનેજર પોતાના ચેમ્બર તરફ આવી રહ્યા હતાં દરમિયાન ઉશ્કેલાયેલા સેવકો દ્વારા રૂપેશ શાસ્ત્રીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેમના વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ વિવાદ બાદ મેનેજર દ્રારા જોઈન્ટ મેનેજર શૈલેષને સસ્પેન્ડ કરાયા છે.જોકે હાલમાં ઇજાગ્રસ્ત મેનેજર રૂપેશ શાસ્ત્રીને ડાકોરની સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ તબીબી સારવાર પુર્ણ થતા ડાકોર પોલીસને આ સમગ્ર મામલાની જાણ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે રૂપેશ શાસ્ત્રીની ફરિયાદનાં આધારે તપાસ શરૂ કરી છે.