મહા શિવરાત્રિના પવિત્ર પર્વે રાજ્યના ઊર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલે પુરાતન રેવડીયા મહાદેવના દર્શન કર્યા હતા તથા સેવા સમિતિ આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞની પૂર્ણાહૂતિના શ્રીફળ સમર્પણમાં સંતો, મહંતો અને ભાવિકો સાથે જોડાયા હતા. યજ્ઞ જેવા ધર્મકાર્યોનું આયોજન સમાજને જોડે છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, શિવના રુદ્રરૂપની આરાધના માટે કરવામાં આવતો અતિરુદ્ર મહાયજ્ઞ એ પવિત્ર ધાર્મિક અને વેદોક્ત શાસ્ત્રોક્ત પરંપરા છે. તેના આયોજનથી ધર્મ-સંસ્કૃતિ પુષ્ટ થાય છે અને સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમીપતા વધે છે. ૧૯૯૫-૯૬ પછી શહેરમાં બીજીવાર આ પવિત્ર ધર્મકાર્યના આયોજન માટે તેમણે રેવડીયા મહાદેવ સેવા સમિતિ તથા શ્રી અશ્વિન સોલંકી- કોર્પોરેટર જયશ્રીબેન સોલંકી અને સમિતિ સદસ્યોને અભિનંદન આપ્યા હતા. તેમણે શહેરવાસીઓને પવિત્ર મહા શિવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સાંસદ રંજનબહેન ભટ્ટ, મેયરશ્રી ભરતભાઇ ડાંગર, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ધર્માચાર્યો સર્વશ્રી દ્વારકેશલાલજી મહારાજ, શ્રી જ્યોતિષાચાર્યજી, સ્વામી રામ રતનપુરીજી, શ્રી સાજણબાપુ સહિત સંતો-મહંતો, નગરસેવકો, મ્યુનિસિપલ પદાધિકારીઓ, સમિતિ સદસ્યો અને ભાવિકોનો વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.