શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ગોપાલનગર ખાતેના એક મકાનમાંથી એકલવાયુ જીવન જીવતા કાંતાબહેન પટેલ નામના એક વૃધ્ધાની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અમરાઇવાડી પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં વૃધ્ધાના માથામાં ઇજાના નિશાન મળ્યા છે અને તેમના કાનમાંથી સોનાની બુટ્ટી ગાયબ જણાતાં પોલીસને આ પ્રકરણમાં લૂંટના ઇરાદે વૃધ્ધાની હત્યા કરાઇ હોવાની આશંકા છે, તેથી પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વિગતો એવી છે કે, શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ગોપાલનગર ખાતે રહેતા ૭૫ વર્ષીય કાંતાબહેન પટેલ તેમના પતિના મૃત્યુ બાદ છેલ્લા ઘણા સમયથી એકલવાયુ જીવન જીવતા હતા. આજે વહેલી સવારે તેમની લાશ ઘરની ચોકડી પાસેથી રહ્સ્યમય સંજોગોમાં મળી આવતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. બનાવની જાણ થતાં અમરાઇવાડી પોલીસે પણ તાત્કાલિક ત્યાં દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં કાંતાબહેનની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી, ઉપરાંત, તેમના કાનમાંથી સોનાની બુટ્ટી ગાયબ હોવાની વાત અને તેમના માથામાં ઇજાના નિશાન તપાસમાં સામે આવ્યા હતા. જેથી પોલીસ પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે વૃદ્ધાની હત્યા કરાઇ હોવાનું અનુમાન સેવી રહી છે. તો, કાંતાબહેનની લાશ ઘરમાં જે જગ્યાએથી મળી આવી ત્યાં નજીકમાં પાણી ભરવાનું માટલુ તૂટેલી હાલતમાં મળી આવ્યું છે, તેથી પાણી ભરતી વખતે કાંતાબહેનનો પગ લપસવાના કારણે તેમને માથામાં ઇજા થવાના કારણે પણ મોત નીપજયુ હોવાની શકયતા પર પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ તો, પોલીસ આ સમગ્ર પ્રકરણમાં વૃધ્ધાના મૃત્યુનુ સાચુ કારણ શોધવામાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.