સુરેન્દ્રનગરના કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં સાવકી માતાએ છ વર્ષના દીકરાની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુમ થઈ ગયાની વાત ઉપજાવનાર પત્ની પર શંકા જતાં પતિએ ઘરમાં તપાસ કરતાં દીકરાની લાશ સૂટકેશમાંથી મળી આવતાં પિતા ભાંગી પડ્યા હતા. હાલ સાવકી માતા પોલીસ કસ્ટડીમાં છે. જોકે, તે પોતાનો ગુનો કબૂલતી નથી.મળતી વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના કૃષ્ણનગર હાઉસીંગ બોર્ડના મકાનમાં શાંતિલાલ પરમાર બીજી પત્ની જીનલ અને પહેલી પત્નીથી થયેલા છ વર્ષીય પુત્ર ભદ્ર સાથે રહે છે. બે દિવસ પહેલા પત્નીએ ભદ્રના ગુમ થયાના સમાચાર પરિવારમાં વહેતા કરી પુત્રને પેટીમાં પુરી દઇ અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકમાં પુત્ર લાપતા બન્યો હોવાની શોધખોળ બાદ પિતા શાંતિલાલ દ્વારા ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના બે દિવસ બાદ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસે પુત્રના પિતા શાંતિલાલ પરમારને તેની પત્ની અને પુત્રની સાવકી માતા ઉપર શંકા વ્યક્ત કરી હતીે જેથી તેના પતિને આ બનાવમાં ખાનગી રાહે તપાસ કરવા માટે પોલીસે જણાવ્યું હતું જેથી શાંતિલાલે ઘરમાં તપાસ કરતાં ઘરમાં કાયમ પડી રહેતી બેગ અન્ય જગ્યાએ જોવા મળી હતી. બેગ ઉંચકતા તેમાં વધુ વજન જણાયો હતો અને બેગને તાળું પણ મારેલું હતું. આથી શાંતિલાલે જીનલ પાસે તાળાની ચાવી માંગી હતી. જોકે, જીનલે ચાવી ક્યાંક મુકાઇ ગઈ હોવાનું જણાવ્યું હતું.આથી શાંતિલાલે સ્ક્રુડ્રાઇવરથી તાળું તોડી નાંખ્યું હતું અને પછી બેગ ખોલતાં અંદરથી પુત્રનો મૃતદેહ નીકળતાં પિતા ભાંગી પડ્યા હતા. સાવકી માતાએ જ દીકરાને પેટીમાં પૂરીને મારી નાંખ્યાનું ખૂલતાં શાંતિલાલે પોલીસને જાણ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. એલ.સી.બી. શાખા સહિતનો સ્ટાફ તુરંત જ આ બનેલ ઘટના સ્થળ ઉપર દોડી ગયેલ હતો. આ બનાવમાં ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ કરાતાં ડોગ પણ સાવકી માતાનો જ છેડો ઝાલી પુરવાર કરી અને સાવકી માતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટનાનો પર્દાફાશ થવા પામ્યો છે. જોકે, માતા દ્વારા હજુ સુધી ગુનો કબૂલવામાં નહીં આવ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે.કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતાં શાંતિલાલ પરમારનાં અગાઉના લગ્ન જીવનમાં પત્નીના અવસાન બાદ શાંતિલાલ પરમારે બીજા લગ્ન જીનલ સાથે કર્યા હતા. તેમને પહેલી પત્નીથી આ પુત્ર થયો હતો. જીનલ ભદ્રની સાવકી માતા હતી જેના કારણે જીનલને આ ભદ્ર કણાની માફક ખુંચતો હતો ત્યારે બે દિવસ પહેલા ભદ્ર એકાએક ગુમ થયો હોવાનો ડોળ જીનલે રચ્યો હતો.પિતા શાંતિલાલે શોધખોળ કરવા છતાં ભદ્ર કયાંય મળ્યો ન હતો જેના કારણે પિતા શાંતિલાલે સુરેન્દ્રનગર સિટીમાં પુત્ર ભદ્ર ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી. સાવકી માતા જીનલ હોવાના કારણે પોલીસને શંકા વ્યકત થયેલ અને શાંતિલાલને પોલીસે આ બનાવમાં શાંતિલાલના પત્ની સાવકી માતા જીનલ તો જવાબદાર નથીને તેવું જણાવેલ અને ત્યારબાદ બે દિવસની તપાસ બાદ આજ વાત સામે આવી છે.જીનલે સાવકા પુત્રને પોતાના રૂમમાં પેટીમાં પુરી દેતાં મુંજાઇ જતાં મોત થયું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.