મોદી સરકારના આખરી પૂર્ણ બજેટથી મિડલ ક્લાસ અને નોકરિયાત વર્ગ જ નહીં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત મજૂર સંગઠન પણ ખુશ નથી. આરએસએસના સહયોગી સંગઠન ભારતીય મજદૂર સંઘે બજેટને નિરાશાજનક ગણાવીને શુક્રવારે દેશવ્યાપી દેખાવનું એલાન કર્યું છે. લોકસભાની ચૂંટણી જલ્દી યોજાવાની શક્યતાઓની અટકળબાજી વચ્ચે આરએસએસના સહયોગી સંગઠન ભારતીય મજદૂર સંઘના આવી રીતે ખુલ્લેઆમ વિરોધમાં આવવાની બાબતને સરકાર માટે સારા સંકેત માનવામાં આવતા નથી. ભારતીય મજદૂર સંઘનું કહેવુ છે કે સરકારે મજૂરો અને નોકરિયાત વર્ગની અવગણના કરી છે. ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી અને મજૂરોના હિતમાં પણ કોઈ એલાન કરાયું નથી. આંગણવાડી વર્કર્સ અને આશા વર્કર્સ માટે સરકાર તરફથી માત્ર નિરાશા જ હાથ લાગી છે. ભૂતકાળમાં ભારતીય મજદૂર સંઘે મોદી સરકારની નીતિઓની ટીકા કરી છે. ભારતીય મજદૂર સંઘે નોટબંધી અને જીએસટીને લઈને પણ કહ્યુ હતુ કે આના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને ઘણું નુકસાન થયું છે.
આગળની પોસ્ટ