ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી પૂર્ણ થયા બાદ હવે આવતીકાલથી વનડે શ્રેણીની શરૂઆત થઇ રહી છે. છ વનડે મેચોની શ્રેણીની પ્રથમ વનડે મેચ આવતીકાલે ડર્બનના મેદાન પર રમાનાર છે. વનડે શ્રેણી પહેલા જ આફ્રિકાને મોટો ફટકો પડી ગયો છે. કારણ કે, આધારભૂત બેટ્સમેન ડિવિલિયર્સ પ્રથમ ત્રણ વનડે મેચોમાં રમનાર નથી. આ ધરખમ બેટ્સમેન આંગણીમાં ઇજાના પરિણામ સ્વરુપે ખસી ગયો છે. જોહાનિસબર્ગના વાન્ડર્સ મેદાન ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ દરમિયાન ડિવિલિયર્સ ઘાયલ થઇ ગયો હતો. રિકવરી માટે તેને ઓછામાં ઓછા બે સપ્તાહનો સમય લાગી શકે છે. ટેસ્ટ શ્રેણી ખુબ જ રોમાંચક રહ્યા બાદ હવે વનડે શ્રેણી પણ રોમાંચક બને તેવી શક્યતા દેખાઈ રહી છે. એવી આશા છે કે, ઘરઆંગણે આફ્રિકન ટીમ ભારત સામે વધુ સારો દેખાવ કરી શકશે. બંને ટીમ વચ્ચે ખુબ ઓછું અંતર રેંકિંગમાં જોવા મળે છે. વિશ્વ ક્રિકેટમાં હાલના દિવસોની વાત કરવામાં આવે તો બંને ટીમો વચ્ચે વધારે અંતર નથી. ભારત ટેસ્ટમાં નંબર વન ટીમ છે ત્યારબાદ આફ્રિકા છ પોઇન્ટ પાછળ રહીને બીજા સ્થાન ઉપર છે. બીજી બાજુ દક્ષિણ આફ્રિકા વનડે ક્રિકેટમાં પ્રથમ ક્રમાંકની ટીમ છે અને તેના બાદ ભારત બીજા સ્થાને છે. ભારત આફ્રિકાથી વનડે ક્રિકેટમાં માત્ર એક પોઇન્ટ પાછળ છે. આ આંકડાકીય માહિતી દર્શાવે છે કે, બંને ટીમો વચ્ચે ખુબ જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. રોહિત શર્મા વનડે ક્રિકેટમાં જોરદાર ફોર્મ મેળવી લેવા માટે ઉત્સુક છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો કંગાળ દેખાવ રહ્યો હતો. બીજી બાજુ જોહાનિસબર્ગમાં હાર ખાધા બાદ આફ્રિકાના સ્ટાર ખેલાડી ડ્યુમિનીએ કહ્યું છે કે, છ મેચોની શ્રેણીમાં ખુબ જ નજીકની સ્પર્ધા જોવા મળી શકે છે. ભારતીય ટીમ જોરદાર દેખાવ વનડે ક્રિકેટમાં કરી શકે છે. આવતીકાલે ડર્બનના કિંગ્સમેડ ખાતે પ્રથમ વનડેને લઇને વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા સજ્જ દેખાઈ રહી છે. આફ્રિકાના મેદાનોમાં ભારતીય ટીમ કેવો દેખાવ કરે છે તે બાબત ઉપર ચાહકોની નજર રહેશે. ડિવિલિયર્સ આઉટ થઇ ગયા બાદ ભારતને આંશિક રાહત મળી છે. છતાં ટીમમાં પ્લેસીસના નેતૃત્વમાં આફ્રિકન ટીમમાં હાસિમ અમલા, ડીકોક, ડ્યુમિની, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, લુંગીગીડી જેવા ખેલાડીઓ રહેલા છે.