દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટીને ફરી ફટકો આપ્યો હતો. જો કે, આંશિક રાહત પણ મળી હતી. હાઈકોર્ટે પાર્ટીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવા સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના આદેશ ઉપર સ્ટે મુકવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ સાથે સાથે ચૂંટણી પંચને કહ્યું હતું કે, તે આગામી સુનાવણી એટલે કે ૨૯મી જાન્યુઆરી સુધી પેટા ચૂંટણી માટેની કોઇ તારીખ જારી કરી શકશે નહીં. કોર્ટે દિલ્હીમાં પેટાચૂંટણી માટે કોઇપણ પ્રકારની તારીખ જાહેર ન કરવા માટે ચૂંટણી પંચને સૂચના આપી હતી. દિલ્હીના આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોને લાભપ્રદ હોદ્દાના મામલે ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ આ બેઠકો ઉપર પેટાચૂંટણીની જરૂરિયાત દેખાઈ રહી છે. બીજી બાજુ દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને એએપીના ધારાસભ્યોની અરજી પર તેમના જવાબ આપવાનો આદેશ કર્યો છે. તેમને ગેરલાયક જાહેર કરવાને પડકાર ફેંકીને એએપીના ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર છઠ્ઠી ફેબ્રુઆરી સુધી જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. હાઈકોર્ટે તમામ રેકોર્ડને રજૂ કરવા માટે પણ કહ્યું છે. હાઈકોર્ટે ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાના ચૂંટણી પંચની ભલામણ તરફ દોરી જનાર કાર્યવાહીના સંદર્ભમાં રેકોર્ડ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. ગઇકાલે એએપીના ધારાસભ્યોએ તેમને ગેરલાયક જાહેર કરવા સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એએપીના ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની ચૂંટણી પંચની ભલામણને રવિવારના દિવસે મંજુરી આપી દીધી હતી. ગયા શુક્રવારના દિવસે ચૂંટણી પંચે એએપીના ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવા માટેની તેની ભલામણ રાષ્ટ્રપતિ કોવિંદને મોકલી હતી. એએપીના પાંચ ધારાસભ્યોએ અરજીમાં દલીલ કરી છે કે, ચૂંટણી પંચે ખુબ ઉતાવળમાં નિર્ણય કર્યો છે. તેમને પોતાની તરફેણ કરવાની તક આપવામાં આવી નથી. અરજીદારોને સાંભળવાની તક આપવામાં આવી નથી. એએપીના ૨૧ ધારાસભ્યોને ૨૦૧૫માં સંસદીય સચિવ બનાવવામાં આવ્યા હતા. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એએપીએ શાનદાર જીત મેળવી લીધા બાદ તરત જ સંસદીય સચિવ બનાવવામાં આવ્યા હતા. આ ૨૧ ધારાસભ્ય પૈકીના એકે અગાઉ રાજીનામુ આપ્યું હતું. જર્નેલસિંહના રાજીનામા બાદ ૨૦ ધારાસભ્યો લાભના હોદ્દા ઉપર રહ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે પેટાચૂંટણી ઉપર સ્ટે મુકી દીધો છે. જો કે, કેન્દ્ર સરકારના નોટિફિકેશન ઉપર કોઇ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી.
પાછલી પોસ્ટ