દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના વલણ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. ચાર સિનિયર જજો આક્ષેપ કરી ચુક્યા છે કે, ચીફ જસ્ટિસ મહત્વપૂર્ણ કેસો વરિષ્ઠતાના આધારે નહીં બલ્કે પોતાની પસંદગીના આધારે જુનિયર જજને સોંપી રહ્યા છે. દેશની સૌથી મોટી અદાલતમાં આ પ્રકારના વિવાદ ભલે પહેલી વખત સપાટી ઉપર આવ્યા છે પરંતુ આ મહત્વપૂર્ણ મામલા જુનિયર જજોને સોંપવાના દાખલ બની ચુક્યા છે. છેલ્લા ૨૦ વર્ષની વાત કરવામાં આવે તો અનેક મહત્વપૂર્ણ કેસો જુનિયર જજને સોંપવામાં આવ્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે છેલ્લા બે દશકમાં દેશ માટે સંવેદનશીલ કેસોની એક યાદી તૈયાર કરી છે. ખુબ જ રિસર્ચ બાદ તૈયાર કરવામાં આવેલી આ યાદીમાં જાણવા મળ્યું છે કે, ઓછામાં ઓછા એવા ૧૫ કેસ છે જે કેસોને સુપ્રીમ કોર્ટમાં તત્કાલિન ચીફ જસ્ટિસ દ્વારા સિનિયર જજને નહીં બલ્કે જુનિયર જજને સોંપવામાં આવ્યા છે. રાજીવ ગાંધી હત્યાકાંડ, બોફોર્સ કાંડ, બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં લાલ કૃષ્ણ અડવાણી પર ચાલનાર કેસ, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ, ગુજરાત રમખાણ સાથે સંબંધિત બેસ્ટ બેકરી કેસ અને બીસીસીઆઈની સમગ્ર કાર્યવ્યવસ્થાને બદલી દેનાર કેસનો સમાવેશ થાય છે. આ તમામ કેસોમાં એક બાબત સામાન્ય છે કે, આ તમામ મામલામાં જજની સિનિયર બેંચે નહીં બલ્કે જુનિયર બેંચ દ્વારા ચુકાદા આપવામાં આવ્યા છે. રાજીવ ગાંધી હત્યામાં દોષિત નલિની અને કેટલાક અન્યોને ૧૯૯૮માં મૃત્યુદંડની સજાની સામે અપીલ કરવામાં આવી હતી તે વખતે આ કેસ સૌથી હાઈપ્રોફાઇલ કેસો પૈકીનો એક કેસ હતો.