સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને દેશના ન્યાયપાલિકાની સ્થિતિને લઇને વિવાદ સર્જી કાઢ્યા બાદ હવે પત્રકાર પરિષદ યોજનાર ચાર જજ કામ ઉપર પરત ફર્યા છે. આજે ચારેય જજ પોતાના કામ ઉપર પરત ફર્યા હતા. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા જ્યારે કોર્ટ પહોંચ્યા ત્યારે તેઓએ પોતાના તરફથી કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. વકીલો અને મિડિયાના પ્રશ્નોની અવગણના કરીને તેઓ પોતાની કેબિન તરફ આગળ વધી ગયા હતા. એટર્ની જનરલ એ વૈદ્યનાથને કહ્યું હતું કે, કોર્ટ પ્રક્રિયા સારીરીતે ચાલી રહી છે. કોઇપણ પ્રકારની વિખવાદની સ્થિતિ નથી. શુક્રવારના દિવસે ચીફ જસ્ટિસ બાદ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલેમેશ્વર, જસ્ટિલ મદન લાકુર, જસ્ટિસ કુરિયન જોસેફ અને જસ્ટિસ રંજન ગોગોઇ મિડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા.
આજે આ ચારેય જજ પોતાના કામ ઉપર પરત ફર્યા હતા. મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જજોએ સવારે મુલાકાત કરી હતી અને એકબીજા સાથે ચર્ચા કરી હતી. એ વખતે સ્ટાફને જજની સાથે રહેવાની મંજુરી આપવામાં આવી ન હતી. જજની પત્રકાર પરિષદ બાદ કાયદાકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો હતો. ભાજપ અને સરકાર તરફથી કોઇ સ્પષ્ટ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને શુક્રવારના દિવસે પોતાની રજૂઆત કરી હતી. રાહુલે જસ્ટિસ લોયાની શંકાસ્પદ સ્થિતિમાં મોતના મામલામાં નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. જજોની પત્રકાર પરિષદ બાદ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા વિવાદને ઉકેલવાની પહેલ કરવામાં આવી હતી. એસોસિએશને ઇમરજન્સી મિટિંગ બાદ ચીફ જસ્ટિસ સામે બે માંગ મુકી હતી અને આનો ઉકેલ લાવવા માટે કહ્યું હતું.
પાછલી પોસ્ટ