જવેલર્સની દુનિયામાં જાણીતું નામ ધરાવતાં જોયઆલુક્કાસ જવેલર્સના અમદાવાદ સહિતના વિવિધ શહેરોના શો-રૂમ્સ પર આજે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ રાજયવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાત સહિત દેશભરમાં આઇટી વિભાગે જોયઆલુક્કાસના દેશભરના શો-રૂમ્સ પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતેના શો-રૂમ્સ પર મોટાપાયે દરોડા પાડી આઇટી વિભાગના અધિકારીઓએ વાંધાજનક દસ્તાવેજો અને ચોપડા જપ્ત કરી કાર્યવાહી કરતાં અન્ય જવેલર્સ અને સોના-ચાંદીના શો-રૂમ્સ ધરાવતાં વેપારીઓમાં પણ ફફડટાની લાગણી ફેલાઇ ગઇ હતી. ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની અલગ-અલગ ટીમોએ આજે વહેલી સવારે શહેરના પરિમલ ગાર્ડન વિસ્તારમાં આવેલા જોયઆલુક્કાસ જવેલર્સના ત્યાં અચાનક જ પ્રવેશ મેળવી બહુ નાટયાત્મક રીતે દરોડા પાડયા હતા. આઇટી વિભાગના આઠથી દસ અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા હતા. આઇટી વિભાગના દરોડાને પગલે જવેલર્સના શો-રૂમમાં હાજર સૌકોઇ ચોંકી ઉઠયા હતા અને ગભરાઇ ગયા હતા. જો કે, આઇટીના અધિકારીઓએ તેમને શાંતિથી તપાસમાં સહકાર આપવા તાકીદ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. આઇટીના અધિકારીઓએ શો રૂમમાંથી વિવિધ પ્રકારના બીલો, ચોપડાઓ સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા હતા અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ જ પ્રકારે આઇટીના અધિકારીઓની અન્ય ટીમોએ વડોદરા અને રાજકોટ ખાતેના જોયઆલુક્કાસ જવેલર્સના અન્ય શો-રૂમ્સ પર દરોડા પાડયા હતા. આઇટીએ વડોદરામાં અલકાપુરી અને રાજકોટમાં યાજ્ઞિક રોડ પરના શો રૂમ્સ ખાતેથી વાંધાનજક દસ્તાવેજો, હિસાબી ચોપડાઓ અને બીલો જપ્ત કર્યા હતા. ગુજરા સહિત દેશભરના ૧૩૦ સ્થળોએ આજે ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો હતો અને સાગમટે દરોડા પાડી મોટાપાયે કામગીરી હાથ ધરી હતી. આજે દરોડા પાડવામાં આવ્યા તેમાં બેંગ્લુરૂ, મેંગ્લુરૂ, મુંબઇ, દિલ્હી, ઇન્દોર, ફરીદાબાદ, ચેન્નાઇ સહિતના શહેરોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, કેરાલા સ્થિત જોયઆલુક્કાસ કંપનીના દેશભરમાં અદ્યતન શો-રૂમ્સ આવેલા છે.