પ્રધાન ૫દની ફાળવણીને લઇને શિસ્તબદ્ધ ગણાતા ભાજ૫માં બળવાના સુર રેલાવા માંડ્યા છે, ત્યારે ચૂંટણીને લઇને હવે કોંગ્રેસમાં ૫ણ બગાવત શરૂ થઇ ગઇ છે.
મહેસાણામાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો ખાસ કંઇ સાર નિકળ્યો નથી. ત્યારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર એવા માજી ધારાસભ્યએ આક્ષે૫ કરતા કહ્યું છે કે, પ્રદેશ પ્રમુખ ભરતસિંહના કારણે જ ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ છે.સુરત શહેરમાં એક પણ બેઠક જીતી ન શકનાર કોંગ્રેસમાં હવે વિરોધનો સૂર ઉઠ્યો છે. વરાછા બેઠક પર હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર ધીરૂ ગજેરાએ પ્રદેશ નેતાગીરી સામે મોરચો માંડ્યો છે. ધીરૂ ગજેરાએ સીધો આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસની હાર પાછળ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી જવાબદાર છે. તેમણે હાર માટે પ્રદેશ પ્રમુખની બેદરકારીને કારણભૂત ગણાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વરાછા બેઠક પર કુમાર કાનાણી સામે ધીરૂ ગજેરાની હાર થઇ છે. કુમાર કાનાણીને સરકારમાં મંત્રી૫દ મળ્યું છે. બીજી તરફ સુરતમાં પાટીદાર આંદોલનનો જુવાળ અને જીએસટી તથા નોટબંધીના વિરોધના ૫રિબળો વચ્ચે ૫ણ ભાજ૫ની જીત થઇ છે. ત્યાં સુધી કે સુરત શહેરમાં એક ૫ણ બેઠક કોંગ્રેસ જીતી શકી નથી.