સરકારની પોલિસી મેકીંગ સમિતિ નીતિ આયોગ દ્વારા ટૂંક સમયમાં રાષ્ટ્રીય સ્તરના મેથેનોલ મિશન માટેનો રોડમેપ તૈયાર કરવા માટેનો પ્રસ્તાવ કેબિનેટને મોકલશે. જેમાં નીતિ આયોગે મેથેનોલ ઇકોનોમી ફંડ માટે રૂ.૫૦૦૦ કરોડના નાણાંકીય ભંડોળની માંગણી કરી છે. જેથી ૧લી જાન્યુઆરી, ૨૦૧૮થી જ સમગ્ર દેશમાં ઓલ્ટરનેટિવ એનર્જી સ્ત્રોતનો ક્રિકસ્ટાર્ટ કરી શકાય.નીતિ આયોગના મેમ્બર વી.કે. સારશ્વતના નેજા હેઠળ આજે મેથેનોલ ઇકોનોમીના ટાસ્કફોર્સ માટે એક ઊચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર દેશમાં મેથેનોલ ઇકોનોમીના આરંભ માટેનો રોડમેપ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ આગામી ચારથી પાંચ વર્ષની અંદર ૩૦થી ૪૦ લાખ ટન મેથેનોલની કેપેસિટી ઇન્સ્ટોલ કરવામાં આવશે અને તેનાથી દેશની કુલ ક્રૂડ ઓઇલની ૫૦ ટકા જરૂરિયાતને વૈકલ્પિક સ્ત્રોત મારફતે સંતોષી શકાશે.સારશ્વતે કહ્યું કે, આ ફંડનો ઉપયોગ કોલસા આધારિત મેથેનોલ પ્રોડયુશિંગ પ્લાન્ટની સ્થાપના કરવા માટે કરાશે. કેન્દ્ર સરકારે દેશમાં ક્રૂડઓઇલનું આયાત બીલ ઘટાડવા અને પ્રદુષણનું પ્રમાણ ઓછું કરવા માટે અન્ય વૈકલ્પિક ઇંધણના ઉત્પાદન અને વપરાશ અંગે વિચારણા કરી રહી છે. જેનાથી દેશને બેવડો ફાયદો થશે. દેશના વિદેશી હૂંડિયામણની બચત પણ થશે અને પ્રદુષણની સમસ્યાનો પણ ઉકેલ આવશે. આ માટે સરકાર વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત ઉપરાંત ઇલેક્ટ્રિક વ્હિકલ્સના મેન્યુફેક્ચરિંગ ઉપર પણ વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતીય અને વિદેશી કંપનીઓને ભારતમાં જ ઇલેક્ટ્રિક વ્હિકલ્સના ઉત્પાદન માટે આમંત્રણ આપ્યું છે.