ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ દ્વારા યોજાયેલી ચિંતન શિબિર બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે ભાજપ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ચૂંટણીમાં કરાયેલી ગડબડી, દાદાગીરી અને ચૂંટણી અધિકારીઓ સહિત સરકારી તંત્રના કરેલા દૂરપયોગના કારણે કોંગ્રેસને ઓછી બેઠકો મળી છે. ચિંતન શિબિરમાં કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક નેતાઓ-કાર્યકરો તરફથી ઇવીએમને લઇને પણ વ્યાપક ફરિયાદો મળી છે. આ સમગ્ર મામલો ગંભીર છે અને તેથી આગામી દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારો ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં ઇલેકશન પિટિશન પણ દાખલ કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇવીએમનો મુદ્દો ઘણો મહત્વનો અને સંવેદનશીલ છે. કોંગ્રેસના ઘણા આગેવાનો અને નેતાઓ-કાર્યકરો દ્વારા ઇવીએમમાં ગડબડીની દહેશત વ્યકત કરાઇ છે અને તેથી આગામી દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારો ગુજરાત હાઇકોર્ટમાં ન્યાય માટે ઇલેકશન પિટિશન ફાઇલ કરશે. તેમણે ઉમેર્યું કે, ઇવીએમની સરખામણીએ બેલેટ પેપર જ નિષ્પક્ષ અને તટસ્થ વિકલ્પ હોઇ બેલેટ પેપરથી જ મતદાન અને ચૂંટણી કરાવવાની માંગણી સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડવા પણ કોંગ્રેસના આગેવાનો તરફથી રજૂઆત મળી છે. કેટલાક ઉમેદવારોને ખોટી રીતે ટિકિટ અપાઇ હોવાની રજૂઆત સાથે જે તે વિધાનસભા મતક્ષેત્રમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો નિષ્ક્રિય રહ્યા હોવાની વાત પણ ધ્યાન પર આવી છે તેવા કિસ્સામાં આગામી દિવસોમાં શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાય તેવો સંકેત પણ તેમણે આપ્યો હતો. સોલંકીએ એ મુદ્દે પણ સ્પષ્ટ કર્યું હતું કે, દેશમાં કોંગ્રેસ એવી પહેલી પાર્ટી છે કે જેણે પરિણામો જાહેર થયા બાદ તરત જ ચિંતન શિબિર યોજી અનોખી પહેલ દાખવી છે. તેની પાછળનો ઉમદા આશય ગુજરાતની પ્રજા સાથેનો સંપર્ક અને સંવાદ જીવંત રહે અને ભવિષ્યમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવાનો છે.