સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગેરકાયદે જાહેર થયેલા ત્રિપલ તલાકને અપરાધ બનાવવા માટે કેન્દ્ર સરકાર આગામી સપ્તાહમાં સંસદમાં બિલ રજુ કરશે. સંસદીય બાબતોના મંત્રી અનંતકુમારે આજે કહ્યું હતું કે, આગામી સપ્તાહમાં મુસ્લિમ મહિલા (પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન મેરેજ) બિલ ૨૦૧૭ અને ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટે ૧૨૩માં સુધારા બિલને રજૂ કરવામાં આવશે. ત્રિપલ તલાકને અપરાધિક બાબત તરીકે જાહેર કરવા માટે સરકાર દ્વારા જે મુસદ્દો તૈયાર કરાયો છે. તે મુજબ એક વખત ત્રણ વખત બોલીને તલાક આપવાની બાબતને ગેરકાયદે ગણવામાં આવશે. આના માટે પતિને ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવશે. આ ઉપરાંત મૌખિક, લેખિત અથવા તો કોઇ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી એક સાથે ત્રણ વખત તલાકને ગેરકાયદે બનાવી દેવામાં આવશે. સંસદના બંને ગૃહોની પાસેથી તેને મંજુરી મળ્યા બાદ કાયદો બની જશે. સુપ્રીમ કોર્ટે આ વર્ષે ૨૨મી ઓગસ્ટના દિવસે આપેલા પોતાના ચુકાદામાં સદીઓથી ચાલી રહેલી મુસ્લિમ પ્રથાને સ્વૈચ્છિક અને ગેરબંધારણીય ગણાવી હતી પરંતુ તેમ છતાં અનેક જગ્યા પર ત્રિપલ તલાક આપવાના રિપોર્ટ મળી રહ્યા છે. ત્રિપલ તલાકની ફરિયાદ મળવાને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે તેનો ઉકેલ શોધી કાઢવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. આના માટે એક કમિટિની રચના કરી હતી. કમિટિમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, કાયદામંત્રી રવિશંકર પ્રસાદ, લઘુમતિ બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી અને બે રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે.
આગળની પોસ્ટ