કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને મુંબઈ હાઇકોર્ટે આજે મોટો દિલાસો આપ્યો હતો. રેરા(રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ)ની વિવિધ જોગવાઈઓનો વિરોધ કરતી બિલ્ડરો દ્વારા કરાયેલી વિવિધ જનહિતની અરજીઓ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. દેશભરમાં ઘર ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર આવી ગયા છે. બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ નરેશ પાટિલ અને જસ્ટિસ રાજેશ કેતકરની સમક્ષ રાજ્યભરમાં રેરાનો વિરોધ કરતી બધી જ અરજીઓની એક સાથે સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે આ સંદર્ભે કહ્યું હતું કે રેરા ગ્રાહકો માટે લાભકર્તા છે.
જોકે કોર્ટે બિલ્ડરોની પ્રોજકેટ પૂરો કરવા સમય લંબાવી આપવાની માગ અને એપલેટ ટ્રિબ્યુનલમાં બાબુઓની નિમણૂક ન કરાય એ બે વાત માન્ય રાખી હતી. દરેક આંખનું દરેક આંસુ લૂછવું જરૂરી છે. ગાંધીજીના આ વાક્યનો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યું હતું કે રેરા ગ્રાહકોના હિતમાં હોવાથી એવા કાયદાની જરૂર છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે રેરા કાયદાના સેક્શન ૬,૭ અને ૩૭ ની રેરા ઓથોરિટી દ્વારા ઝીણવટભરી તપાસ બાદ અપવાદરૂપ કિસ્સાઓમાં જ બિલ્ડરને પ્રોજેક્ટ પૂરો કરવાનો સમય લંબાવી આપવામાં આવે.બિલ્ડરો દ્વારા ફ્લેટ બુકિંગ લીધા બાદ વર્ષો સુધી ફ્લેટનો કબ્જો ન અપાતો હોવાથી અનેક લોકોની જિંદગીભરની કમાણી તેમાં ફસાઈ જતી હતી. અથવા અનેક લોકોના મસમોટી લોનના હપ્તા ચાલુ થઇ જતા હતા પણ ફ્લેટનો તાબો વર્ષો સુધી મળતો નહીં . એથી તેમના હિતનું રક્ષણ કરવા કેન્દ્ર સરકારે ૨૫ માર્ચ ૨૦૧૬ના રેરા કાયદો મંજૂર કરાવ્યો હતો. જે હેઠળ દરેક બિલ્ડર કે ડેવલપરે તેનો પ્રાજેક્ટ રેરા હેઠળ નોંધાવવો ફરજિયાત બનાવ્યું હતું. એ પછી મહારાષ્ટ્ર સરકારે પણ તેનો અમલ કરવાનું ઠેરવ્યું હતું.
આગળની પોસ્ટ