અરબ અને મુસ્લિમ દેશોએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈઝરાયેલની રાજધાની તરીકે જેરુસલેમને માન્યતા આપવાના નિર્ણયની આકરી આલોચના કરી છે અને ટ્રમ્પના આ પગલાંને પેલેસ્ટાઈનવાસીઓની સાથોસાથ સમગ્ર વિસ્તારમાં હિંસા ભડકાવનારું ગણાવ્યું છે.બીજીબાજુ આંતરરાષ્ટ્રીય સમુદાયે જણાવ્યું હતું કે અમેરિકા શાંતિની સ્થાપના માટે મધ્યસ્થિની ભૂમિકા ભજવવાના તેના વચનમાંથી પાછીપાની કરી રહ્યું છે.યુરોપિયન યુનિયન (ઈયુ) અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ પણ અમેરિકી એલચી કચેરી તેલ અવીવથી જેરુસલેમ ખસેડવાના નિર્ણય પછી ગમે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવાની આશંકા વ્યક્ત કરી છે. આ બંને સંગઠનોએ જણાવ્યું હતું કે તેના લીધે ઈઝરાયેલા અને પેલેસ્ટાઈન વચ્ચે આશાંતિ સર્જાઈ શકે છે. અમેરિકીના પ્રખર સહયોગી દેશોએ પણ દાયકાઓ જૂની અમેરિકી નીતિમાં કરાયેલા ફેરફાર સામે અણગમો વ્યક્ત કર્યો છે.ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું કે પેલેસ્ટાઈન અંગે ભારતનું વલણ સ્વતંત્ર અને સુંસગત છે તથા કોઈ ત્રીજા દેશના દ્રષ્ટિકોણથી પ્રભાવિત નથી.પેલેસ્ટાઈનના કટ્ટરપંથી જૂથ હમાસે જણાવ્યું હતું કે જેરુસલેમમાં અમેરિકી દૂતાવાસ ખોલવાનો ટ્રમ્પનો નિર્ણય નર્કનો માર્ગ ખુલ્લો મુકે છે. ટ્રમ્યના નિર્ણયથી આ જગ્યા મુસ્લિમોની છે તે તથ્ય બદલાઈ જતું નથી. હમાસે આ સાથે આઠ ડિસેમ્બરે ક્રોધ દિવસ મનાવવાની પણ જાહેરાત કરી હતી.ફ્રાન્સે અમેરિકાના આ એક તરફી પગલાને ફગાવ્યો છે અને સમગ્ર ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવાની હાકલ કરી છે. બ્રિટને જણાવ્યું હતું કે અમેરિકાના આ પગલાંથી શાંતિના પ્રયાસોમાં મદદ નહીં મળે અને અંતે જેરુસલેમની ઈઝરાયેલ તથા ભવિષ્યના પેલેસ્ટાઈન વચ્ચે વહેંચણી જ કરવી પડશે.
જર્મનીએ જણાવ્યું હતું કે બંને દેશોને ધ્યાન લઈને જ જેરુસલેમની સ્થિતિનો ઉકેલ લાવી શકાય છે.પેલેસ્ટાઈનના પ્રમુખ મહેમુદ અબ્બાસે જણાવ્યું હતું કે આ નિર્ણય સાથે અમેરિકાએ શાંતિ પ્રક્રિયામાં મધ્યસ્થિની ભૂમિકા ભજવવામાંથી ખસી જવાની જાહેરાત કરી છે. પેલેસ્ટાઈનના કટ્ટરવાદી સંગઠન હમાસે આ નિર્ણયના વિરોધમાં દેખાવો યોજવાની ઘોષણા કરી છે.ઈરાનના પ્રમુખ હસન રુહાનીએ ટ્રમ્પની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે આને સાંખી લેવામાં નહીં આવે.ઈરાન સરકારની વેબસાઈટે જણાવ્યું હતું કે રુહાનીએ તુર્કીના પ્રમુખ રજબ તૈયરબ અર્દોઆન સાથે ફોન પર વાત કરી હતી અને ટ્રમ્પની ઘોષણાને ખોટી, ગેરકાયદેસર, ઉશ્કેરણીજનક અને ખુબ જ ખતરનાક ગણાવી હતી. તેઓ આ સાથે ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (આઈઓસી)ની ખાસ શિખર બેઠકમાં પણ ભાગ લેવા સંમત થયા છે.તુર્કીના પ્રમુખ ૧૩ ડિસેમ્બરે આ મુદ્દે બેઠકનું આયોજન કર્યું છે.
બીજીબાજુ ઈઝરાયેલના પ્રમુખે ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાંની પ્રશંસા કરી છે. જ્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે શાંતિની દિશામાં આ મહત્વનું પગલું છે અને ઈઝરાયેલની સ્થાપના થઈ તે દિવસથી જ આ અમારું લક્ષ્ય હતું.
આગળની પોસ્ટ