વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનામાં દેશના સ્ટોક માર્કેટમાં ૧૯૭૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દીધા છે. છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા છે. કારોબાર કરવાના મામલે વૈશ્વિક રેટિંગ એજન્સી દ્વારા ભારતની રેટિંગમાં સુધારો કરવામાં આવ્યા બાદ અને પીએસયુ બેંકોમાં જંગી નાણાં ઠાલવી દેવાની સરકારની જાહેરાત બાદ વિદેશી રોકાણકારો આશાવાદી દેખાઇ રહ્યા છે. સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન આવા રોકાણકારોએ ડેબ્ટ માર્કેટમાં ૫૩૦ કરોડ રૂપિયા ઉમેરી દીધા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે વિદેશી રોકાણકારોએ છેલ્લા મહિનામાં ઇક્વિટીમાં ૧૯૭૨૮ કરોડનુ રોકાણ કર્યુ હતુ. માર્ચ મહિના બાદથી એફપીઆઇ દ્વારા સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યુ છે. માર્ચ મહિનામાં ઇક્વિટી માર્કેટમાં ૩૦૯૦૬ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી રહી છે. વર્ષ ૨૦૧૭માં એકંદરે વિદેશી રોકાણકારો દ્વારા ઇક્વિટીમાં ૫૩૮૦૦ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૧.૪૬ લાખ કરોડ રોકી દેવામાં આવ્યા છે. પીએસયુ બેંકોમાં જંગી નાણાં ઠાલવી દેવા માટેની સરકારે જાહેરાત કર્યા બાદ સ્થિતી ખુબ આશાસ્પદ દેખાઇ રહી છે. વૈશ્વિક સ્થિતીમાં પણ સુધારો થઇ રહ્યો છે. સ્થિર કરેન્સીની સ્થિતી પણ આના માટે જવાબદાર છે. ઓક્ટોબર મહિનામાં સ્ટોક માર્કેટમાં ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૯૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા તે પહેલા સપ્ટેમ્બર મહિનામાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકાર દ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે.
નવેસરના આંકડા દર્શાવે છે કે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં સ્ટોક માર્કેટમાંથી ૨૪૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ હવે લેવાલી જોવા મળી છે. ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે. ફેબ્રુઆરી-ઓગસ્ટના તે પહેલાના છ મહિનામાં એફપીઆઈ દ્વારા ૧.૭૮ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા આઠ મહિનાના ગાળા દરમિયાન નેટ ઇન્ફ્લોનો આંકડો ૧.૪ લાખ કરોડ રહ્યો છે. તે પહેલા તેમના દ્વારા ૨૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. મૂડી માર્કેટમાં સેબી દ્વારા હાલમાં જ લેવામાં આવેલા પગલાની સીધી અસર એફપીઆઈ ઉપર નોંધાઈ છે. એફપીઆઈ દ્વારા ભારત ઉપરાંત ચીન જેવા અન્ય દેશો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ચીનમાં વેલ્યુએશન સરખામણીની દ્રષ્ટિએ વધારે આકર્ષક હોવાના આંકડા પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યા છે. જાણકાર લોકો માની રહ્યા છે કે સ્થિતીમાં હજુ સુધારો થઇ શકે છે. વર્લ્ડ બેંક દ્વારા ભારતની રેટિંગમાં કારોબાર કરવાના મામલે સુધારી દેવામાં આવ્યા બાદ હજુ વિદેશી રોકાણકારો જંગી રોકાણ કરે તેવી શક્યતા છે.