રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. પાલિતાણામાં પીએમ મોદીએ સભામાં આપેલા નિવેદનને લઈને ક્ષત્રિય અને પટેલ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.પીએમ મોદીએ માનગઢ કાંડની યાદ અપાવી વર્ગવિગ્રહ અંગે નિવેદન આપ્યું હતું. ત્યારે પટેલ અને ક્ષત્રિય સમાજના લોકોએ ચાર ડિસેમ્બરના રોજ ભાવનગર ખાતે આયોજિત સભામાં કાળા વાવટા ફરકાવી વિરોધ અને માફી માગવાની ચીમકી આપી છે.નરેન્દ્ર મોદીએ પાલીતાણાની જાહેર સભામાં માનગઢ હત્યાકાંડનો ઉલ્લેખ કરી કથિત રીતે પાટીદાર અને ક્ષત્રિયોઓને આમને-સામને લાવી દેવાનો પ્રયાસ કર્યો. જો કે આ મુદ્દે તેઓ રાજકિય લાભ લેવા માગતા હતા, પણ પણ તેમની બાજી ઉંઘી પડી છે. આ મુદ્દે ક્ષત્રિય અને પાટીદાર નેતાઓ એક થઈ ગયા છે અને તેમણે નરેન્દ્ર મોદીના આ નિવેદનની ટીકા કરતા ગુજરાતમાં ક્ષત્રિય અને પાટીદાર એક હોવાનો અહેસાસ લોકો સુધી પહોંચવા માટે કાર્યક્રમ ઘડી કાઢ્યો છે.૧૯૮૨ અને ૧૯૮૪માં થયેલા ક્ષત્રિય-પાટીદાર હત્યાકાંડને ત્રીસ વર્ષ થઈ ગયા છે. આ ઘટનામાં ક્ષત્રિય અને પાટીદાર લોકોએ ભોગવ્યુ પણ છે. આ ઘટનાને બન્ને કોમ ભુલી જવા માગે છે. પરંતુ પાલીતાણામાં પાટીદાર મતોની સંખ્યા વધુ હોવાને કારણે નરેન્દ્ર મોદીએ પાટીદારોને ખુશ કરવા માટે માનગઢનો ઉલ્લેખ કરી ક્ષત્રિયોને નારાજ કર્યા અને ફરી મતોનું ધ્રુવીકરણ કરી તેઓ ભાજપના મતો અંકે કરવા માગતા હતા, પણ તેની અસર જુદી થઈ છે.વર્ષોથી પાટીદાર અને ક્ષત્રિયો પોતાના ભુતકાળને ભુલી નવી જીંદગી જીવવા માગતા હતા ત્યારે નરેન્દ્ર મોદીના નિવેદનને કારણે સામાજીક સમરસતા બગડી શકે છે. તેના કારણે ભાજપના હોદ્દોદાર તેવા પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોએ મોદીના આ વ્યવહારની ટીકા કરી છે. વિધાનસભાની ચૂંટણી બાદ પણ બંન્ને કોમ વચ્ચે સંબંધો યથાવત રહે તે માટે પાટીદાર અને ક્ષત્રિયો દ્વારા ભાવનગરમાં એક સામુહિક પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે ગુરૂવારના રોજ બોલાવવામાં આવી હતી જેમાં બંને સમુદાયે મોદીનો વિરોધ કરવાનું નક્કી કર્યુ છે.