સુરતના પૂણા વિસ્તારની કેટલીક સોસાયટીના પાટીદારો એકત્ર થઈ ગયા એ સમયે ભાજપના ઉમેદવારે પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો તો લોકરોષ ભભૂકી ઉઠ્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા ભાજપના ઉમેદવાર સહિત કાર્યકરો ભાજપનો કેસરી ખેસ ખિસ્સામાં નાખી ભાગ્યા હતા. આગળ ભાજપના ઉમેદવાર અને પાછળ પાટીદારો એ રીતે પૂણાના ભાજપ કાર્યાલય સુધી દોડાવ્યા હતા.કામરેજ વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર વી.ડી. ઝાલાવડિયા શુક્રવારે સવારે તેમની ટીમ સાથે ડોર ટુ ડોર પ્રચાર માટે પૂણાની સમજુબા, હરેકૃષ્ણ સહિતની સોસાયટીમાં પહોંચ્યા હતા. જ્યાં પાટીદારો એકત્ર થયા હતા અને ભાજપનો ભારે વિરોધ કર્યો હતો.
વાતાવરણ એટલું તંગ થઈ ગયું કે ભાજપના આગેવાનો અને કાર્યકરોને ત્યાંથી ભાગવું પણ ભારે થઈ પડ્યું હતું.ભાજપના ઉમેદવાર સહિતના આગેવાનો અને કાર્યકરો કેસરી ખેસ ખિસ્સામાં નાખી ભાજપ કાર્યાલય સુધી એક શ્વાસે દોડીને પહોંચ્યા હતા. ગુરુવારે પૂણાની જ બે સોસાયટીમાંથી ભાજપના ઉમેદવારોને ભગાડ્યા હતા.
આ પરંપરા ચાલુ રહેતા ભાજપના આગેવાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવે આગળ જોવાનું એ રહ્યું કે સુરતના અન્ય ઉમેદવારોમાં આ ઘટનાના કેવા પડઘા પડે છે અને કેવી રીતે ભાજપના કાર્યકરો અને આગેવાનો સુરતના અન્ય વિસ્તારોમાં તેમનો પ્રચાર કરી શકે છે.