ગુજરાતમાં કાયમી ડીજીપી નિમણૂંક મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ જાગ્યો છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ પીઆઇએલ પેન્ડીંગ છે ત્યારે આ બધા વિવાદોની વચ્ચે આજે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીનો કાર્યકાળ પૂરો થતાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદકુમારની નિયુક્તિ કરવામાં આવી હતી. ચૂંટણી આચારસિંહતા લાગુ થયેલી હોઇ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારની રાજયના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંકને મ્હોર મારી હતી. પ્રમોદકુમાર સને ૧૯૮૩ની બેચના આઇપીએસ છે અને તેઓ બહોળો અનુભવ અને સ્વચ્છ છબી ધરાવે છે તે કારણથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના અનુભવ અને કાર્યશૈલીનો લાભ મળી રહે તે હેતુથી પ્રમોદકુમારની નિયુકિત કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમોદકુમારની નિમણૂંકને પગલે રાજય પોલીસ તંત્ર સહિત સરકારના અધિકારીઓ અને મંત્રીઓ સહિતના મહાનુભાવો તરફથી તેમને શુભેચ્છા-અભિનંદન પાઠવાયા હતા. આજે ગીથા જોહરી ઇન્ચાર્જ ડીજીપી પદેથી નિવૃત્ત થતા હોઇ સરકારને ઇન્ચાર્જ ડીજીપીની નિમણૂંક કરવી પડે તેમ જ હતી, તેનું એક કારણ એ પણ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી હોઇ રાજયભરમાં ખાસ કરીને ચૂંટણી દરમ્યાન સુરક્ષા અને સલામતીના દ્રષ્ટિકોણથી એવા ઉચ્ચ પોલીસ અધિકારીની નિયુકિતની જરૂરિયાત ઉભી થઇ હતી કે, જે આ સમગ્ર પરિસ્થિતિ સંભાળી શકે. જેથી સરકાર દ્વારા સને ૧૯૮૩ની બેચના અનુભવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા પ્રમોદકુમાર, આઇપીએસ શિવાનંદ ઝા સહિત ત્રણ જણાંના નામો ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યા હતા. જેમાં પુખ્ત વિચારણના અંતે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારના નામ પર નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રમોદકુમાર ફેબ્રુઆરી-૨૦૧૮માં નિવૃત્ત થાય છે. જેથી ત્રણ મહિના માટે ઇન્ચાર્જ ડીજીપી પદે વરણી કરાઈ છે.
પાછલી પોસ્ટ