ભારતનો જીડીપી ગ્રોથ રેટ બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બરમાં ૬.૩ ટકા રહ્યો છે. આની સાથે જ અર્થવ્યવસ્થા ફરી એકવાર ગતિ પકડી લીધી છે. નાણામંત્રી અરુણ જેટલીએ આજે દાવો કરતા કહ્યું હતું કે, નોટબંધી અને જીએસટીની અસરથી છવાયેલી અર્થવ્યવસ્થામાં મંદી હવે દૂર થઇ ચુકી છે અને તેજીની શરૂઆત થઇ છે. સરકાર તરફથી આજે જીડીપી ગ્રોથના આંકડા જારી કરવામાં આવ્યા હતા. ઇકોનોમીક ગ્રોથના નવા આંકડા દેશ માટે સારા સમાચાર તરીકે છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ ૫.૭ ટકા સુધી ઘટી ગયો હતો. આની સાથે જ ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાથી ગ્રોથ રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ હવે ફરી એકવાર વધારો થયો છે. અર્થવ્યવસ્થામાં ગતિ જોવા મળી રહી છે. કારણ કે, બિઝનેસ વધવાના સંકેત મળી રહ્યા છે. જીવીએ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૫.૬ ટકાથી વધીને ૬.૧ ટકા થયો છે. જીડીપી આંકડામાં સુધારો થતાં એવું લાગી રહ્યું છે કે, તમામ મંદીની અસર ખતમ થઇ છે. બીઝનેસ કારોબારીઓએ જીએસટી કાયદાઓને અપનાવી લીધા છે. રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે પણ કહ્યું છે કે, તેજીના સંકેત મળી રહ્યા છે. મે મહિનામાં જીડીપી ગ્રોથ રેટ ૯.૨, જુન ૭.૯ ટકા, સપ્ટેમ્બર ૨૦૧૬માં ૭.૫ ટકાનો દર હતો જ્યારે માર્ચ ૨૦૧૭માં ૬.૧ ટકા, જૂનમાં ૫.૭ ટકા અને સપ્ટેમ્બરમાં ૬.૩ ટકાનો દર રહ્યો હતો.