શહેરના એસજી હાઈવે પર આવેલી ગ્રાંડ ભગવતી ખાતે ફાસ્ટ ફુડની મજા માળવા ગયેલા એક ગ્રાહકે મંગાવેલા પિત્ઝામાંથી વંદો નીકળતા આ ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગને જાણ કરતા તંત્રની ટીમ તપાસ માટે હોટલ પર પહોંચી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના એસજી હાઈવે પર આવેલી હોટલ ખાતે એક ગ્રાહક તેમના મિત્ર સાથે પહોંચ્યા હતા જ્યાં તેમને ઓર્ડરના ભાગરૂપે પિત્ઝા અને અન્ય કેટલીક ચીજો મંગાવી હતી. ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલી આ ચિજોમાં પિત્ઝાની અંદર વંદો હોવાનું જાણ થતા જ ગ્રાહકે સાવચેતી રાખીને તેના ફોટોગ્રાફ અને વિડીયો ઉતારી દીધા હતા. બાદમાં ગ્રાહક બીલ પેમેન્ટ કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેણે કાઉન્ટર ઉપર બેઠેલા કર્મચારીની પાસે પિત્ઝામાંથી વંદો નીકળ્યો હોવાનું પણ લેખિતમાં લખાવી દીધું હતું. દરમ્યાન તેણે આ સમગ્ર ઘટના મામલે મ્યુનિસિપલ હેલ્થ વિભાગની ટીમને જાણ કરતા ટીમ હોટલ ખાતે સ્થળ તપાસ માટે પહોંચી છે. આ અંગે મ્યુનિસિપલ હેલ્થ વિભાગના એક અધિકારી સાથે થયેલી વાતચીતમાં અધિકારીએ કહ્યું કે, પિત્ઝામાંથી વંદો નીકળ્યો હોવાની ફરિયાદ અમને મળી છે. હેલ્થ વિભાગની ટીમ હાલ હોટલ ખાતે તપાસ માટે રવાના થઈ છે. તપાસ બાદ સમગ્ર ઘટના મામલે રિપોર્ટ સામે આવશે. અત્રે નોંધનીય છે કે, થોડા સમય અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી દાણાપીઠની સામેના ભાગમાં આવેલી દાસ ખમણની દુકાનમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર દ્વારા મંગાવવામાં આવેલા નાસ્તામાંથી વંદો નીકળતા દાસ ખમણની દુકાનને સીલ મારી દેવામાં આવ્યું હતું. બાદમાં દુકાનમાં પેસ્ટ કંટ્રોલની કામગીરી પુરી કરવામાં આવ્યા બાદ આ દુકાનનું સીલ ખોલવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આ સિવાય પણ વિવિધ ચીજોમાંથી વંદા સહિતની અન્ય જીવાતો મળી આવી છે. પરંતુ દરેક વખત હેલ્થ વિભાગ દ્વારા આવી ઘટનાઓ સામે આંખ આડા કાન કરવામાં આવતા હોવાના કારણે લોકોના જાહેર આરોગ્ય ઉપર તેની ગંભીર અસરો પડી રહી છે.
પાછલી પોસ્ટ