કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને રાજયસભા સાંસદ રાજીવ શુકલા આજે ગુજરાતમાં વડોદરાની મુલાકાતે હતા તે દરમ્યાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, અત્યારસુધીના દેશના તમામ વડાપ્રધાનો જીવનમાં સંઘર્ષ કરીને જ આગળ આવ્યા છે અને મોદીએ કંઇ નવુ કે વિશેષ કર્યું નથી. મોદી તેમના સંઘર્ષ અને લાગણીસભર વાતો કરી ભાવનાત્મક રીતે લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ગુજરાતની જનતાને તેમણે હૃદયપૂર્વક અપીલ કરતાં જણાવ્યું હતું કે, તમે એક વખત કોંગ્રેસને તક આપો, કોંગ્રેસ ગુજરાતની તકદીર અને તસવીર બદલી નાંખશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન તેમના ભાષણો અને વકતવ્યોમાં મોટી મોટી વાતો કરે છે પરંતુ જયારે વિવાદાસ્પદ મુદ્દાઓની વાત આવે છે ત્યારે તેનો જવાબ ટાળી દે છે અને મૌન ધારણ કરી લે છે. છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે પરંતુ ગુજરાતની જનતાની આશા ઠગારી નીવડી છે. ભાજપ માત્ર ભ્રામક પ્રચાર-પ્રસાર અને ભાષણોથી લોકોને ભરમાવવાનો માહોલ બનાવે છે. મોદી માત્ર ગુજરાતીઓની વાત જ કરે છે, તેમના હિતની નહી.કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને રાજયસભા સાંસદ રાજીવ શુકલાએ વધુમાં ઉમેર્યું હતું કે, નોટબંધી અને જીએસટી બાદ ગુજરાત સહિત દેશભરમાં રોજગારી મળતી નથી. ઉદ્યોગો બંધ થઇ ગયા છે. લોકો જબરદસ્ત રીતે પાયમાલ થઇ ગયા છે. નોટબંધીથી એક રૂપિયાનું કાળુ નાણું પાછુ આવ્યું નહી. મોદી સરકારે આપેલા વચનો પૈકી એક વાયદો પણ પાળવામાં આવ્યો નથી. દેશમાં ગરીબી અને મોંઘવારી વધ્યા છે તો શિક્ષણ મોંઘુ થયું છે. ભાજપ સરકારે વાસ્તવમાં કોંગ્રેસની જૂની યોજનાઓ જ નવારૂપમાં આગળ કરી છે, મોદી સરકારે જાતે પોતાની કોઇ યોજના અમલમાં મૂકી નથી એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.