ચોમાસાની ઋતુ હોઈ વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે. જેના પગલે ખાધ્ય સામગ્રીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગે રીતસરનો સપાટો બોલાવ્યો હતો. જેમાં લારીઓ અને દુકાનોમાં વેચાતા અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગે આજથી વડોદરામાં પાણીપુરીની વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે.
આરોગ્ય વિભાગે શહેરમાં પાણીપુરીના વેચારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ રોગચાળાને લઈને અલગ અલગ વોર્ડમાં ખાણી-પાણીની વસ્તુઓની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા વરસાદ અને તેના કારણે નિચાણવાણા વિસ્તારમાં પાણી ભરાતા ઠેરઠેર પાણીજન્ય રોગોની ફરિયાદો ઉઠવા પામી છે. પરિણામે આરોગ્ય વિભાગની ટીમે ગઈ કાલે ગુરુવારે શહેરમાં વિવિધ જગ્યાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં પણ ખાસ કરીને પાણીપુરી બનાવતી જગ્યાએ અને પાણીપુરી માટે ઉપયોગમાં લેવામાં આવતા સડેલા બટાકા સહિતના અખાદ્ય વસ્તુઓનો નાશ કરી હતી અને તેમને નોટિસો ફટકારી હતી.
આરોગ્ય વિભાગ દ્ગારા સઘન ચેકિંગ કરાયું હતું. પાણીપુરીના ૫૦ યુનિટો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૪૦૦૦ કિલો અખાદ્ય પુરી, ૩૩૫૦ કિલો બટાટાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ૧૨૦૦ લીટર પાણીપુરીના પાણીનો નાશ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરાયો હતો.
આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે જે જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હતી તે જગ્યા ગંદકીથી ખદબદી રહી હતી, તેમજ પાણીપુરીમાં ઉપયોગમાં લેવામાં આવતા બટાકા સહિતની વસ્તુઓની ખાઇ ન શકાય તેવી હતી. પરિણામે આજથી વડોદરામાં પાણીપુરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વકરતા રોગચાળા અને ચોમાસાને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. રોગચાળો ન અટકે ત્યાં સુધી પાણીપુરી પર પ્રતિબંધ યથાવત રહેશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ