શહેરના એસ.જી.હાઇવે પર ગોતા ચોકડી પાસે નિર્માણ પામેલા સ્તવન પરિશ્રય-૧ અને સ્તવન પરિશ્રય-૨ના ૪૦૦ જેટલા સ્થાનિક રહીશોને પોતાના માલિકીના ફલેટનું પઝેશન નહી અપાતાં આખરે અસરકર્તા ગ્રાહકો અને ગ્રાહક સુરક્ષા અન પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ દ્વારા ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ જુદી જુદી ફરિયાદો દાખલ કરી છે. જેની સુનાવણીમાં સ્ટેટ કમીશને પ્રતિવાદી સંભવ ઇન્ફ્રાન્સ્ટ્રકચર પ્રા.લિ, તેના બિલ્ડર મીહિર પ્રવીણચંદ્ર દેસાઇ, તેની પત્ની તોશલ મીહીરભાઇ દેસાઇ વિરૂધ્ધ નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી માર્ચ મહિનામાં રાખી છે. આ કેસમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખ દ્વારા નિર્દોષ ગ્રાહકોને તેમના ફલેટનો કબ્જો અપાવવા, વિલંબથી પઝેશન આપવા બદલ ભરેલી કિંમત રૂ.૩૧ લાખ પર તા.૨૧-૪-૨૦૧૬થી વાર્ષિક ૧૮ટકાના ચઢતા વ્યાજ સાથે નુકસાનીની રકમ ચૂકવવા અને માનસિક ત્રાસ અને આઘાતના ત્રણ લાખ રૂપિયા અને લીગલ કોસ્ટના રૂ.૬૦ હજાર ચૂકવવા સહિતની ફરિયાદમાં દાદ માંગવામાં આવી હતી. આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, સંભવ ઇન્ફ્રાન્સ્ટ્રકચર પ્રા.લિ.ના ગોતા ચોકડી પાસે નિર્માણ પામેલા સ્તવન પરિશ્રય-૧ અને સ્તવન પરિશ્રય-૨ સ્કીમના બિલ્ડર મીહિર પ્રવીણચંદ્ર દેસાઇ અને તેની પત્ની તોશલ મીહીરભાઇ દેસાઇ દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં આકર્ષક માર્કેટીંગ કરી, રંગીન બ્રોશરો છપાવી ગ્રાહકો પાસેથી એડવાન્સ અવેજ સ્વીકારી ફલેટ બુક કરી, બાનાખત કરી અને ઘણા કિસ્સાઓમાં ગ્રાહકોને પાકો વેચાણ દસ્તાવેજ કરી આપ્યા બાદ હજુ સુધી તેઓને ફલેટનો કબ્જો સોંપ્યો નથી. સ્કીમનું ૮૦ ટકા બાંધકામ પૂરું થઇ ગયું હોવાછતાં નિર્દોષ રહીશોને ફલેટના કબ્જાથી વંચિત રાખવામાં આવ્યા છે. એટલું જ નહી, સંભવ ઇન્ફ્રાન્સ્ટ્રકચર પ્રા.લિ.ના બિલ્ડર મીહિર પ્રવીણચંદ્ર દેસાઇ અને તેની પત્ની તોશલ મીહીરભાઇ દેસાઇ દ્વારા કોર્પોરેશન બેંકની પ્રહલાદનગર શાખામાંથી રૂ.૨૦ કરોડની જંગી લોન લઇ બદલામાં ગ્રાહકોની પ્રોપ્રર્ટીનો બોજો ગીરો મૂકયો છે. બિલ્ડરના કૌભાંડથી છેતરાયેલા ગ્રાહકોની હાલાકી અને પરેશાનીનો કોઇ પાર નથી ત્યારે આ મામલે સ્ટેટ કમીશને સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ નિર્દોષ રહીશોને ન્યાય અપાવવો જોઇએ એમ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ઉમેર્યું હતું.
પાછલી પોસ્ટ