અમદાવાદના સીરીયલ બોંબ બ્લાસ્ટના આરોપી તૌસીફખાન ઉર્ફે તૌસીફ સગીરખાન પઠાણને શહેર ક્રાઇમબ્રાંચે બિહારથી અમદાવાદ લાવી આજે સાબરમતી જેલમાં સ્પેશ્યલ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને તેના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સુનાવણીના અંતે સ્પેશ્યલ કોર્ટે આંતકવાદી તૌસીફખાન પઠાણને છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. સ્પેશ્યલ કોર્ટે આંતકવાદી તૌસીફખાનના રિમાન્ડ મંજૂર કરાતા હવે ક્રાઇમબ્રાંચના અધિકારીઓ આંતકવાદી તૌસીફખાન સહિતના આરોપીઓની અમદાવાદના ૨૦૦૮માં થયેલા સીરીયલ બ્લાસ્ટ કેસમાં શું ભૂમિકા હતી તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ બિહાર પોલીસના હાથે આરોપી તૌસીફખાન પઠાણ સહિતના ત્રણ આરોપીઓ ઝડપાયા હતા અને તેમાં તૌસીફખાન પઠાણની પૂછપરછમાં તેની અમદાવાદના સીરીયલ બોંબ બ્લાસ્ટના કેસમાં સંડોવણી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, તૌસીફખાન પઠાણ એ પ્રતિબંધિત સીમીનો સક્રિય સભ્ય છે અને જૂહાપુરા સ્થિત આલમઝેબ આફ્રિદી સાથે નજીકથી સંકળાયેલો હતો કે જે ૨૦૧૪ના બેંગ્લુરૂ બ્લાસ્ટમાં આરોપી હતો. ૨૦૦૮માં અમદાવાદના સીરીયલ બોંબ બ્લાસ્ટ બાદ આરોપી તૌસીફખાન પઠાણ ફરાર થઇ ગયો હતો અને ત્યારથી આ કેસમાં તે વોન્ટેડ હતો. જો કે, બિહાર પોલીસના હાથે ઝડપાઇ ગયા બાદ અને ત્યાં તપાસનો તબક્કો પૂરો થયો હોવાથી હવે શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓ ટ્રાન્સફર વોરંટના આધારે તેને અહીં લાવી હતી અને આજે તેને લોખંડી જાપ્તા સાથે સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કર્યો હતો.