ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાન અને જસદણ વિધાનસભાના કોંગ્રેસના દાવેદાર ધીરૂભાઇ શીંગાળા આજે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. મનસુખભાઇએ જસદણ ભાજપના ઉમેદવાર ડો. ભરતભાઇ બોઘરાની આગેવાનીમાં તેમને કેસરીયો ખેસ પહેરાવ્યો હતો. ધીરૂભાઇ શીંગાળાએ ભાજપનો ખેસ પહેરતા કોંગ્રેસના ગઢમાં મોટુ ગાબડુ પડ્યાની ચર્ચા થઇ રહી છે. હવે આવનારી વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે આસાન થતી જોવા મળી રહી છે. ધીરૂભાઇ શીંગાળા જસદણના મેઘપર ગામના વતની છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં જોડાયા હતા. તેઓ ૩૦ વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. તેમજ સુરત કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે જેમાં તેનો પરાજય થયો હતો. આ વખતે જસદણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ ટિકિટ કુંવરજીભાઇ બાવળિયાને મળતા તેઓ નારાજ થતા આજે ભાજપમાં જોડાયા હતા. ધીરૂભાઇ શીંગાળાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ૩૦ વર્ષથી જસદણ-વીંછિયા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન તરીકે ફરજ બજાવી રહ્યો હતો. જસદણ બેઠક પર દાવેદારી નોંધાવી હતી. પરંતુ ટિકિટ ન મળતા નારાજ હતો. જસદણમાં કોંગ્રેસના ઉમેદવાર કુવરજીભાઇ બાવળિયાના એકહથ્થુ શાસનથી વિકાસ થયો નથી. આથી ગુજરાતમાં ૧૯૯૦થી કોંગ્રેસને જાકારો મળ્યો છે. જસદણને હું કોંગ્રેસ મુક્ત કરીશ. ગુજરાતમાં ભાજપ ૧૫૧ પ્લસ નહીં ૧૫૨ પ્લસ બેઠક મળશે.