શિવભક્તોની આસ્થાના કેન્દ્ર એવા સોમનાથ મહાદેવના દર્શને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. લોકો મહાદેવના દર્શનનો લાભ લેવા ઉપરાંત સમુદ્રના સૌંદર્યને પણ માણવા જતાં હોય છે. આવા સમયે અજાણ્યા પ્રવાસીઓ સાથે કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તંત્ર દ્વારા ખાસ નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત સોમનાથ મંદિર નજીક સમુદ્રમાં પ્રવાસીઓને ન્હાવા પર પ્રતિબંધ મુકાયો છે.પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં મંદિરના દર્શનાથે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ હોય છે અને તેને કારણે સમુદ્રમાં ન્હાવા જતા ડૂબી જવાના અનેક બનાવો બન્યા છે. અહીં આગળ દરિયાઈ મોજા વાંકા-ચુકા આવતા હોય છે યાત્રાળુઓ આસાનીથી આ મોજાના વમળમાં આવી જાય છે અને તણાઈ જાય છે. આવા બનાવો બનતા અટકાવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.આર.મોદીએ ફોજદારી કાર્યવાહી અધિનિયમ મુજબ સોમનાથ મંદિરની દક્ષિણની દિશા તરફથી અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પૂર્વે-પશ્વિમ બંને સાઈડમાં આશરે ચાર કી.મી.ના વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઈપણ વ્યકતિના સમુદ્રમાં ન્હાવા કે પગ બોળવા જવા પર પ્રતિબંધ મુકાયો છે. આ આદેશ તાત્કાલિક અસરથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબિત થયે શિક્ષાને પાત્ર થશે તેમ હુકમમાં જણાવેલ છે.