ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બાદ મોદી સરકાર વધુ એક મોટા સુધારાની દિશામાં આગળ વધી રહી છે. સરકારે નવા ડાયરેક્ટ ટેક્સ કાયદાનો મુસદ્દો તૈયાર કરી લીધો છે. આના માટે ટાસ્ક ફોર્સની રચના કરી દેવામાં આવી છે. નવો કાયદો વર્તમાન ઇન્કમટેક્સ કાયદાની જગ્યા લેશે. સાત સભ્યોવાળી કમિટિ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના સભ્ય અરવિંદ મોદીના નેતૃત્વમાં કામ કરશે. જ્યારે મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ પેનલના સ્થાયી ખાસ આમંત્રિત સભ્ય રહેશે. બજેટ પહેલા સરકારનું આ પગલું આ બાબતના સંકેત છે કે, સરકારનો ઇરાદો વધુ એક સરળ અને સ્પષ્ટ કાયદો લાવવાનો છે. આનો મતલબ એ છે કે, મૂડીરોકાણકારો માટે કારોબારને સરળ બનાવવા માટે ડાયરેક્ટ ટેક્સની નીતિમાં ફેરફાર કરવામાં આવશે. મૂળ ડાયરેક્ટ ટેક્સ કોડ (ડીટીસી)ના પ્રસ્તાવ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ લઇને આવ્યા હતા. અરવિંદ મોદીએ આ કોડને તૈયાર કરવામાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની મદદ કરી હતી. અલબત્ત આ બિલમાં આગળ કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા પરંતુ સંસદમાં આ બિલ પાસ થઇ શક્યું ન હતું. ૨૦૦૯માં ડાયરેક્ટ ટેક્સ કોડ હેઠળ અનેક છુટછાટ અને ઉદાર ટેક્સ સ્લેબને દૂર કરવા સહિત કેટલાક મોટા ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. જાણકાર લોકોના કહેવા મુજબ ડીટીસીથી નાણાંકીય કામગીરી સરળ થઇ જશે. સાથે સાથે લોકોને કરવેરાની ચુકવણી પણ ઓછી કરવી પડશે. સરકાર ડાયરેક્ટ ટેક્સમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી ચુકી છે. ટૂંક સમયમાં જ આ સંદર્ભમાં સ્પષ્ટ રુપરેખા રજૂ કરવામાં આવશે. ડ્રાફ્ટ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવ્યા બાદ ટાસ્ક ફોર્સ દ્વારા આ પાસામાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપીને રુપરેખા તૈયાર કરવામાં આવનાર છે.