વિધાનસભાની ચૂંટણી આડે ગણતીરીના દિવસો બાકી છે. આવા સંજોગોમાં અન્ય સમાજની જેમ સાધુ સંતોએ પણ ટિકિટ અને પડતર પ્રશ્નોને લઇ ભાજપ શાસિત રાજય સરકાર સામે બાયો ચઢાવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ ભારતી આશ્રમ ખાતે રાજયના અગ્રણી સાધુસંતોની એક તાકીદની બેઠક યોજાઇ હતી. જેમાં સાધુ સમાજના પડતર પ્રશ્નોને લઇને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. સાધુ સમાજે આક્ષેપ લગાવ્યો છે કે, છેલ્લા ૨૦ વર્ષમાં તેમના પડતર પ્રશ્નો ઉકેલાયા નથી. સાધુ સમાજે જણાવ્યું છે કે આવતીકાલ સુધીમાં અમીત શાહ અથવા વિજય રુપાણી સાધુ સમાજની માંગને લઇને સામેથી સાધુ સમાજને બોલાવે. જો તેમ નહી થાય તે ઉગ્ર આંદોલન થશે. ભારતીબાપુએ એ માંગ કરી કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં યોગ્ય સાધુને ટિકિટ અપાય.આજની આ બેઠકમાં અખાડા પરીષદના અધ્યક્ષ પ્રેમગીરીજી, સતાધારના ઓટલાના મહંત નરેન્દ્રબાપૂ, દુધરેજ ધામના મહા મંડલેશ્વર કલીરામ બાપૂ સહિતના સાધુસંતો ઉપસ્થિત રહ્યાં હતાં. સાધુ સમાજે વધુ એક માંગ કરી છે કે,રાજયમાં સાધુ સમાજનુ એક બોર્ડ બંને પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડમાં અને ગિરનાર ઓથોરીટીમાં પણ સાધુ સમાજને પ્રતીનીધીત્વ મળે. જોકે અંતમાં ભારતીબાપૂએ એમ પણ કહ્યું કે આચારસંહિતા લાગુ છે. તેથી માંગણીઓ અને મુદ્દાને કાયદાકીય સ્થાન આપી ન શકાય તે સમજી શકાય પણ ખાત્રી મળવી જરુરી છે.તો બીજી તરફ ગઢડાના સ્વામીનારાયણ મંદિરના સાધુ એસપી સ્વામીએ રાજય સરકારને આડે હાથ લીધી હતી. સંતો અને મંદિરો પરત્વે વર્તમાન સરકાર કોઇ લક્ષ આપતી નથી તેવો આક્ષેપ કયોઁ હતો. તેમણે વધુમાં કહયુ કે,રાજ સત્તા ઉપર ધર્મદંડ હોવો જોઇએ પણ અહી વિપરીત સ્થિતી છે. માત્ર સાધુ સમાજને સાથે રાખીને સમાજને ગુમરાહ કરવામાં આવે છે. ધર્મ સંસ્થાઓને અંદરો અંદર લડાવાય છે.