પદ્માવતી ફિલ્મને લઇ રાજપૂત સમાજનો ખાસ કરીને શ્રી રાજપૂત કરણી સેનાનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જાય છે અને આગામી દિવસોમાં આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેમ છે. પદ્માવતીના ફિલ્મના વિરોધ અને ગુજરાત સહિત દેશભરમાં તેની રિલીઝ અટકાવવાની માંગણી સાથે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૧૨મી નવેમ્બરે ગાંધીનગરના સેકટર-૧૧ ખાતેના રામલીલા મેદાનમાં રાજપૂત સ્વાભિમાન સંમેલન બોલાવવામાં આવ્યું છે, જયાંથી પદ્માવતી ફિલ્મ સામેના દેશવ્યાપી વિરોધનું રણશિંગૂ ફંકાશે એમ અત્રે શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું. તેમણે ૧૨મી નવેમ્બરે મુંબઇમાં બેઠેલા કહેવાતા ફિલ્મકારો (સંજય લીલા ભણશાલી)ના બાર વગાડી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. પદ્માવતી ફિલ્મને કોઇપણ સંજોગોમાં રિલીઝ નહી થવા દઇએ તેવું આકરું વલણ જાહેર કરતાં રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી, અન્ય અગ્રણી મહિપાલસિંહ મકરાણા કમલેન્દ્રસિંહ અને જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સંજય લીલા ભણશાલીએ રાજપૂત સમાજની અને રાજપૂત સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારે પદ્માવતી ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્ર સાથે છેડછાડ કરાઇ છે. રાજપૂતોના ઇતિહાસને કોઇપણ ફિલ્મકાર મનોરંજનના નામ પર વિકૃત રીતે રજૂ ના કરી શકે. દેશના ઇતિહાસ પર બનતી કોઇપણ ફિલ્મ માટે સરકારે પ્રિસેન્સરશીપ લાગુ કરવી જોઇએ. રાણી પદ્માવતી એ ઇતિહાસમાં અમર એવી રાજપૂત સમાજની મહાન રાણી હતા કે જેમણે ૧૬ હજાર મહિલાઓ સાથે ક્રૂર શાસક અલાઉદ્દીન ખિલજી સામે ઝુકવાને બદલે અગ્નિસ્નાન કર્યું. આવી દેવી સમાન રાણીના પાત્રને ખોટી અને નકારાત્મક રીતે રજૂ કરવાના સંજય લીલા ભણશાલીના કૃત્યને રાજપૂત સમાજ સાંખી લેવાના મૂડમાં નથી. ૧૨મીએ રાજપૂત સ્વાભિમાન સંમેલન મારફતે અમે મુંબઇમાં બેઠેલા આ કહેવાતા ફિલ્મકારોના બાર વગાડી દઇશું.