મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, અંબાજી થી ઉમરગામ સુધી આદિજાતિ વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ સાથે પીવાના શુધ્ધ પાણી અને સિંચાઈનું પાણી પહોંચાડવા માટે રાજય સરકાર સંકલ્પબધ્ધ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજયના આદિજાતિ વિસ્તારોમાં વિજળી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ રાજય સરકારે પુરી પાડી છે. પરિણામે આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. આ સરકાર તેમની પડખે ઊભી રહી સૌના સાથ સૌના વિકાસને સાકાર કરી રહી છે તેવી પ્રત્યક્ષ અનુભુતિ હરેક વનબંધુ આદિજાતિ પરિવારને થઈ છે. મુખ્યમંત્રી ઝાલોદ તાલુકાના અંતરિયાળ રૂપાખેડા ગામે દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ૨૦૪૧ કરોડના વિકાસ કામોની ભેટ ધરી હતી. આવનારા સમયમાં આ બહુધા આદિવાસી વસતિ ધરાવતા જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે. તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ૧૦૫૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર કડાણા જળાશય આધારિત દાહોદ જિલ્લાની ઉદ્દવહન સિંચાઈ યોજના તથા ૮૯૦ કરોડના ખર્ચે સાકાર થનાર નર્મદા રીવર બેઝીન આધારિત દાહોદ જિલ્લાના દક્ષિણ વિસ્તારના ૨૮૫ ગામો તથા છોટાઉદેપુર જિલ્લાના ગામો માટેની જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત કર્યું હતું. તેમણે રૂપાખેડામાં ૫૫.૩૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૨૨૦ કેવી વીજ સબ સ્ટેશન, ૨૩ કરોડના ખર્ચે આકાર પામનાર જિલ્લા જેલ, ૪.૮૦ કરોડના ખર્ચે સાકાર થનાર ઝાલોદ સંજેલી તાલુકા પંચાયત ભવનનું ભુમિપુજન સંપન્ન કર્યું હતું. મુખ્યમંત્રીએ દાહોદ જિલ્લામાં ૬.૩૦ કરોડના શિક્ષણ, આરોગ્ય, ગૃહ વિભાગના ચાર વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ સાંસદ અને કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોરના દાહોદના ૧૦૦૦ દિવસના વિકાસ કી ઓર બઢતે કદમ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. આ અવસરે દેવગઢ બારીયા તાલુકાને ખુલ્લામાં શૌચક્રિયામુક્ત તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો. દેવગઢ બારિયા તાલુકામાં ૩૨૫૦૦ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં નર્મદા રીવર બેઝીન જુથ પાણી પુરવઠા યોજના દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડી આગામી સમયમાં દાહોદ જિલ્લાને હેન્ડપંપ મુક્ત કરાશે. તેવી નેમ તેમણે દર્શાવી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આદિજાતિ બાંધવોને ઓશિયાળા બાપડા બિચારાપણાથી મુક્ત કરાવવા સમગ્ર દેશમાં ગુજરાતે પેસા એક્ટનો અસરકારક અમલ કરી આદિવાસીઓને તેમના અધિકારો સોંપી ગ્રામ પંચાયતોને રાજય સરકાર જેટલી સત્તા આપી છે. આદિવાસીઓને હવે વન પેદાશો તેમજ ગૌણ ખનિજની ઉપજના નાણા સીધેસીધા કોઈપણ જાતના વચેટિયાઓ વગર તેમના ખાતામાં જમા થશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજય સરકારે ખેડુતો પાસેથી ટેકાના ભાવે ૧૦૦૦ કરોડની મગફળી તેમજ ૬૦૦ કરોડની તુવેરની ખરીદી કરી છે. એટલું જ નહીં ખેડુતોને બટાકાના ટ્રાન્સપોર્ટેશન માટે સબસીડીની પણ જાહેરાત કરી છે. ખેડુતોને તેમની ખેત પેદાશોના ભાવો મળી રહે તે માટે સરકાર સતત ચિંતા કરી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું. ખેડુતોના પાકને ભુંડ રોઝના ત્રાસથી બચાવવા ૭૫૦ કરોડની જોગવાઈ કરી ખેડુતોને ખેતર ફરતે તારની વાડ બનાવવા માટે ૫૦ ટકા સબસીડી આપવાની યોજના અમલી બનાવી તેમ તેમણે ઉમેર્યું હતું. ખેડુતોને સમયસર યુરિયા ખાતર મળી રહે તે માટેની સુચારૂ વ્યવસ્થા સરકારે કરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજય સરકારે અમલમાં મુકેલ ગૌહત્યા પ્રતિબંધ, દારૂબંધીનો કડક અમલ તેમજ ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ અધિનિયમની જોગવાઈઓની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રિય આદિજાતિ વિકાસ રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરે આદિવાસીઓના મસીહા અને ઉધ્ધારક એવા ગુરુગોવિંદને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભુતકાળની સરકારોમાં આઝાદી પછીના ૬૦ વર્ષો દરમિયાન પુરતુ સિંચાઈનું પાણી કે પીવાનું પાણી મળતુ ન હતું. જ્યારે ૨૦૦૧થી તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયના અને આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે દૃઢ નિર્ધાર કરી શૈક્ષણિક સવલતો પરિપૂર્ણ કરી સાથે શિક્ષણના અવનવા કાર્યક્રમો થકી શિક્ષણનું સ્તર ઉંચુ આવ્યું. આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકી તેના થકી ગ્રામિણ ક્ષેત્રોને ઝડપથી વિકાસ થયો છે.
(અનુસંધાન નીચેના પાને)