બ્રહ્મપુત્રને લઇને ચીને નવો પ્લાન તૈયાર કર્યો છે. ચીની એન્જિનિયરોએ બ્રહ્મપુત્રનું પાણી ડાયવર્ટ કરવા માટે ૧૦૦૦ કિલોમીટર લાંબી ટનલ બનાવાની યોજના તૈયાર કરી છે. આ ટનલ દ્વારા બ્રહ્મપુત્રનું પાણી તિબેટથી જિનજિયાંગની તરફ વાળવાની યોજના છે. જો ચીની એન્જિનિયરોનો આ પ્લાન મંજૂર કરી લેવામાં આવે તો આ ભારત અને બાંગ્લાદેશ બંનેને નુકસાન થશે. જાણકારોના મતે એન્જિનિયરોએ પોતાનો પ્લાન આ વર્ષે માર્ચ મહિનામાં ચીની સરકારને સોંપ્યો હતો, પરંતુ અત્યાર સુધી સરકારની તરફથી તેને મંજૂરી મળી નથી.ટનલ નિર્માણની ડ્રાફ્ટિંગ કમિટીમાં સામેલ રહેલા વાંગ વી એ કહ્યું કે આ પ્રોજેક્ટમાં એક કિલોમીટર પર એક બિલિયન યુઆન ખર્ચ આવશે. એટલે કે આખી ટનલ બનાવામાં કુલ ૧ ટ્રિલિયન યુઆન ખર્ચ થશે. જો કે ચીનના પ્રખ્યાત તીન જૉર્જેસ ડેમના ખર્ચની બરાબર થશે.
જો કે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટને લઇને હજુ પર્યાવરણની દ્રષ્ટિથી કોઇ આકરણી કરાઇ નથી. સાથો સાથ તેની અસરને પણ હજુ સુધી આંકવામાં આવી નથી. એક બીજા ચીની રિસર્ચરના મતે ચીન એક દિવસ ચોક્કસ આ પ્રોજેક્ટ બનાવશે. નિષ્ણાતોના મતે ૫-૧૦ વર્ષમાં પ્રોજેક્ટ નિર્માણ માટે ટેકનોલોજી તૈયાર થઇ જશે, ત્યારબાદ તેના પર ખર્ચ પણ ઓછો આવશે.
ચીની સરકાર જો આ ટનલ નિર્માણને મંજૂરી આપી દે છે તો ભારત અને બાંગ્લાદેશ પર તેની વ્યાપક અસર પડવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. ભારત આની પહેલાં ૨૦૧૦મા તિબેટના જૈંગ્મૂમાં બનાવામાં આવેલા ડેમ પર પણ ચિંતા વ્યક્ત કરી ચૂકયું છે. તેમ છતાંય ચીન જૈંગ્મૂ ડેમ બાદ બીજા ત્રણ ડેમને ગ્રીન સિગ્નલ આપી ચૂકયું છે. જો કે જે નવા પ્રોજેક્ટનો રોડમેપ ચીની એન્જિનિયરોએ પોતાની સરકારને સોંપ્યો છે, જો તે બની જાય છે તો ભારત માટે વધુ ખતરો ઉભો કરી શકે છે.ચીની રિસર્ચર વાંગ વી એ જો કે તેનો ઉલટો જવાબ આપ્યો છે. તેમનું માનવું છે કે ભારત-બાંગ્લાદેશ આ પ્રોજેક્ટને લઇને વિરોધ વ્યક્ત કરશે પરંતુ એ પણ સત્ય છે કે વિશાળ ડેમ બાંધવા છતાંય આ ટનલ બીજા દેશ કે પર્યાવરણને બિલકુલ નુકસાન પહોંચાડશે નહીં.