ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ચર્ચા પુરજોશમાં ચાલી છે ત્યારે ભુતકાળની ચૂંટણીના પરિણામો પરથી રસપ્રદ માહિતી મળી છે. ચૂંટણી વખતે યોજાતી ચૂંટણીને લઈને કેટલીક માન્યતા પ્રવર્તે છે. જેમ ઉત્તરપ્રદેશની કેટલીક બેઠકો જીતનાર જ કેન્દ્રમાં સરકાર બનાવે છે તેવી જ રીતે ગુજરાતની ૧૮૨ બેઠકો પૈકી આ એક બેઠક પર જીતનાર પક્ષ જ ગાંધીનગરમાં સત્તાના સૂત્રો સંભાળે છે.દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પર ૧૯૭૫થી જે પક્ષ જીતે છે તે જ ગાંધીનગરમાં સરકાર બનાવે છે તેવી એક માન્યતા છે. ૧૮૨ વિધાનસભા બેઠકોમાં ૧૭૯ નંબરની વલસાડની આ બેઠકનું મહત્વ કંઈક અલગ જ છે.
૧૯૭૫માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના ઉમેદવાર કેશવજી રતનજી પટેલનો વિજય થયો અને તેમની પાર્ટીએ જનસંઘ સાથે મળીને સરકાર રચી હતી. આ પછી ૧૯૮૦માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા અને કોંગ્રેસની જ સરકાર બની. ૧૯૮૫માં પણ આ બેઠક પરથી કોંગ્રેસ જીતી અને ગાંધીનગરમાં ગાદી પણ કોંગ્રેસે જ સંભાળી. ત્યારબાદ ૧૯૯૦માં પહેલીવાર ભાજપમાંથી ચૂંટણી લડીને દોલતભાઈ દેસાઇએ આ બેઠક પરથી જીત મેળવી હતી અને ભાજપે જનતા દળને બહારથી ટેકો આપી સરકાર રચી હતી.૧૯૯૫માં બીજેપી આ બેઠક પર ફરથી જીત્યું અને કેશુભાઈને આગેવાનીમાં ભાજપની સરકાર બની. ત્યારબાદ ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૭ એમ કુલ મળીને ૫ વખત ભાજપના દોલતભાઈ દેસાઈ આ બેઠક પરથી ચૂંટાયા અને ભાજપે રાજ્યમાં સરકાર રચી. છેલ્લી ચૂંટણી ૨૦૧૨માં પણ ભાજપના ભરતભાઈ પટેલ જંગી બહુમત સાથે ચૂંટાયા અને બીજેપી સત્તામાં આવ્યું.
આગળની પોસ્ટ