આગામી પાંચ વર્ષ માટે સમાજવાદી પાર્ટીના પ્રમુખ તરીકે અખિલેશ યાદવ ચૂંટાઈ આવ્યાના દિવસો બાદ જ પાર્ટીની નવી યાદી જારી કરવામાં આવી ચુકી છે જેમાં મુલાયમસિંહ યાદવ અને શિવપાલસિંહનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં મુલાયમ અને શિવપાલનો સમાવેશ કરવામાં ન આવતા સમાજવાદી પાર્ટીમાં કેટલાક સભ્યોમાં નારાજગી દેખાઈ રહી છે. આ બંને નેતાઓને ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સમાજવાદી પાર્ટીના મુખ્ય જનરલ સેક્રેટરી રામગોપાલ યાદવે ૫૫ સભ્યોની રાષ્ટ્રીય કારોબારીની યાદી જારી કરી છે જેનું નેતૃત્વ અખિલેશ યાદવ કરી રહ્યા છે. જો કે, મુલાયમ અને તેમના ભાઈ આ યાદીમાં દેખાઈ રહ્યા નથી. આના કારણે સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં ભારે દુવિધાભરી સ્થિતિ સર્જાઈ ગઈ છે. સપાના સ્થાપક નેતા મુલાયમસિંહ યાદવ માર્ગદર્શક તરીકે રહેશે કે કેમ તે સંદર્ભમાં હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. આ અંગે પ્રતિક્રિયા આપતા સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું છે કે, આ પ્રકારના ઘટનાક્રમને લઇને તેઓ વાકેફ નથી. પાર્ટીના બંધારણમાં આવા કોઇ હોદ્દા માટે કોઇ જોગવાઈ કરવામાં આવી નથી. સપાના પ્રવક્તાનું કહેવું છે કે, માર્ગદર્શક તરીકે રહી શકે છે. યાદવ પરિવાર વચ્ચે થોડાક સમય સુધી જોરદાર ખેંચતાણની સ્થિતિ રહી હતી. તેમના પુત્ર અખિલેશ યાદવે પહેલી જાન્યુઆરીના દિવસે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મુલાયમસિંહ પાસેથી પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી પણ આંચકી લીધી હતી. નવી યાદીમાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે કિરોનને નંદાને જાળવી રાખવામાં આવ્યા છે. કારોબારીમાં ૧૦ જનરલ સેક્રેટરી છે જેમાં આઝમખાન, નરેશ અગ્રવાલનો સમાવેશ થાય છે. ૨૫ સભ્યોમાં જયા બચ્ચન પણ છે. પાર્ટીમાં ૧૦ સેક્રેટરી, ૨૫ સભ્યો અને અન્ય સભ્યો રહેલા છે. ખજાનચી તરીકે રાજ્યસભાના સાંસદ સંજય શેઠને જાળવી રાખવામાં આવ્યા છે. શેઠ મુલાયમસિંહ યાદવના ખુબ જ નજીકના વિશ્વાસુ તરીકે છે. સમાજવાદી પાર્ટીની સ્થિતિને મજબૂત કરવાના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનો સંપૂર્ણ સફાયો થયો હતો અને ભાજપે પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવી હતી. અખિલેશ યાદવ હવે યુવા નેતા તરીકે પાર્ટીમાં પોતાની રીતે આગળ વધારવા ઇચ્છુક છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ