રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા રવિન્દર ગોસાઈની આજે સવારે લુધિયાણાના કૈલાશનગરમાં વણઓળખાયેલા હુમલાખોરોએ હુમલો કરીને હત્યા કરી દીધી હતી. આ બનાવની સાથે સમગ્ર લુધિયાણામાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. સંઘના નેતાઓની હત્યાના બનાવ હાલના દિવસોમાં વધી રહ્યા છે. કેરળમાં પણ અનેક બનાવો બની ચુક્યા છે. આવી સ્થિતિમાં સ્વયંસેવક સંઘમાં પણ નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. આજે સવારે ૭.૪૫ વાગ્યાની આસપાસ ગોસાઈ હાઉસ નજીક લુધિયાણાની ગગનદીપ કોલોનીમાં આ હત્યા કરવામાં આવી હતી. સંઘની શાખામાંથી હાજરી આપ્યા બાદ ગોસાઈ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો. બાઈક ઉપર આવેલા શખ્સે તેમના ઉપર ગોળીબાર કર્યો હતો. લુધિયાણા પોલીસ કમિશનરે વિગત આપતા કહ્યું છે કે, તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ગોસાઈ સંઘની લુધિયાણાની રઘુનાથનગર મોહન શાખામાં ગયા હતા. તેઓ જિલ્લા ભાજપના હોદ્દેદાર પણ હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. લુધિયાણામાં તંગદિલી પણ ફેલાઈ ગઈ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ