ડેરો સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામ રહીમસિંહને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ થયેલી હિંસા અને હોબાળાને લઇને હરિયાણા પોલીસની ખાસ એસઆઈટી ટીમે ડેરાના સીએ સીપી અરોડાની ધરપકડ કરી છે. રામ રહીમની કંપનીના સીઈઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. પંચકુલામાં થયેલી હિંસાના મામલામાં તેને મુખ્ય સુત્રધાર તરીકે ગણવામાં આવે છે. ગુરમિત રામ રહીમસિંહની કંપનીના મોટાભાગના કામ સીપી અરોડા સંભાળે છે. સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ અને હરિયાણા પોલીસે સાથે મળીને તેની ધરપકડ કરી છે. ગુરમિત રામ રહીમને જેલ ભેગો કરી દેવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા ડેરા સચ્ચા સૌદાના એકાઉન્ટન્ટ સીપી અરોડાની શોધખોળ કરી રહી હતી. પોલીસની તપાસમાં એવી બાબત સપાટી ઉપર આવી છે કે, આ હિંસાનું કાવતરું એમએસજી કંપનીના સીઈઓ સીપી અરોડા દ્વારા ઘડી કાઢવામાં આવ્યું હતું. તે હાલમાં ફરાર ચાલી રહ્યો હતો. પોલીસે તેની વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. આખરે તેને પકડી પાડવામાં સફળતા હાથ લાગી છે. અરોડાનું નામ છિંદરપાલ અરોડા છે. સીપી અરોડા ડેરાના પ્રવક્તા આદિત્યના નજીકના સાથી તરીકે પણ છે. આદિત્યની પણ પોલીસ દ્વારા ઉંડી શોધખોળ કરવામાં આવી રહી છે. હિંસા બાદથી જ આદિત્ય અને અરોડા તેમજ હનીપ્રીત ફરાર હતા પરંતુ હવે અરોડા અને હનીપ્રીતની ધરપકડ કરી લેવાઈ છે. વહીવટીતંત્રનું કહેવું છે કે, ૨૫મી ઓગસ્ટના દિવસે ગુરમિત સિંહને સજા કરવામાં આવ્યા બાદથી હિંસાના કાવતરામાં આ ત્રણેય સભ્યોની ભૂમિકા હતી. પોલીસ કમિશનર એએસ ચાવલાએ સીપી અરોડાની ધરપકડ થઇ હોવાના અહેવાલને સમર્થન આપી દીધું છે. બીજીબાજુ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર ઇડી અને ઇન્કમટેક્સ વિભાગની ટીમ ડેરા સચ્ચો સોદાની સંપત્તિની તપાસ કરવા સિરસા પહોંચી છે.
પાછલી પોસ્ટ