નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે નર્મદા જિલ્લામાં તા. ૧૩ મી ઓક્ટોબરના રોજ યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના આયોજનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં જે તે વિભાગને સોંપાયેલી કામગીરી અંતર્ગત સધાયેલી પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી. જુદા જુદા સરકારી વિભાગો દ્વારા પસંદગી પામેલા લાભાર્થીઓને મંજુર થયેલા લાભો સુવ્યવસ્થિત રીતે મળી રહે તે જોવાની તેમણે ખાસ કાળજી રાખવાની તાકીદ કરી હતી.
સમગ્ર રાજ્યમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ તા. ૧૩ મી ઓક્ટોબર, ૨૦૧૭ ને શુક્રવારના રોજ સવારે ૧૦=૦૦ કલાકે રાજપીપલા મુખ્યમથકે ગુજરાતના વન અને આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી અને ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના અધ્યક્ષશ્રી કુબેરભાઇ ડીંડોર તેમજ જિલ્લાના અન્ય પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ફોરેસ્ટ રેન્જર્સ કોલેજના કમ્પાઉન્ડમાં યોજાનાર છે, જેમાં વિવિધ વિભાગના લાભાર્થીઓને સાધન-સહાય કિટ્સનું વિતરણ કરાશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગીતાંજલીબહેન, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે દરેક વિભાગોના સ્ટોલ્સ, લાભાર્થીઓની સંખ્યા, સાધન-સહાય-કિટ્સની વિગતો ઉપરાંત તેના વિતરણ તેમજ મુખ્ય સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે થનારા કિટ્સ વિતરણની પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.