રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ મુદ્દે રાજકીય નેતાઓના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વધતાં રાજકારણ ગરમાયું છે. તેવા સમયે આંદોલનકારીઓ પોતાનો રસ્તો સ્પષ્ટ કરવા માટે હુંકાર ભરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગરમાં ઠાકોર સેના આયોજીત જનાદેશ સંમેલનમાં ઠાકોર સેના સહિત જિલ્લામાંથી અન્ય સમાજના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે, તેઓ ૯મી ઓક્ટોબરે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી ચૂંટણી લડવા માટે રણશિંગુ ફૂંકશે.
સાબરકાંઠાના હિંમતનગરમાં ઠાકોર સેનાનું જનાદેશ સંમેલનમાં મોટી સંખ્યામાં ઠાકોર સેના સહિત જિલ્લામાંથી અન્ય સમાજનાં અગ્રણીઓ ઉમટી પડ્યા હતા. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતાની સરકાર બનવાની વાત કરતાં અલ્પેશે હુંકાર કર્યો હતો કે, ૯મી ઓક્ટોબરે અલ્પેશ ઠાકોર કોઈપણ એક વિકલ્પ પસંદ કરી ચુંટણી લડવા માટે રણશિંગુ ફુકશે. તેમણે ધારાસભ્યો પર આડકતરો પ્રહાર કરતાં કહ્યું હતું કે, વિધાનસભાના ધારાસભ્યોએ વચન આપ્યા બાદ ફરી ગયા છે. નર્મદા કેનાલનાં પાણીના મુદ્દા અંગે વડાપ્રધાન પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, આ પાણી ખેડૂતોના ખેતરમાં જતુ નથી. જોકે, હાલ અલ્પેશે બંને પક્ષોમાંથી કોઈપણ પક્ષમાં જોડાવવાનો ઈન્કાર કરી અન્ય કોઈ પક્ષ રચવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી છે.