અમરેલીમાં રાજય અને કેન્દ્ર સરકારની આર્થિક સહાયથી બની રહેલા ભારતના સૌથી મોટા હની પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને ૩૫ હજાર પરિવારોને રોજગારી આપતી અમર ડેરીના નવા બિલ્ડીંગ, જનસુવિધા કેન્દ્રનું પણ ૧૭મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ અંગે વિગતો આપતા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી અને જિલ્લા દૂધ સંઘના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે અમરેલી આવ્યા હતા અને તેમના હસ્તે વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.રાજય અને કેન્દ્ર સરકારના સહયોગથી સહકારી પ્રવૃતિના ભાગ રૃપે અમરેલીમાં ભારતના સૌથી મોટા હની પ્લાન્ટ એટલે કે મધ ઉછેર કેન્દ્રની સ્થાપના થઈ રહી છે.જેમાં ૭૫ વીઘા જેટલી વિશાળ જમીનમાં ખૂબ જ મોટા પાયે મધ ઉછેર કરવામાં આવશે. હાલમાં જિલ્લા દૂધ સંઘ દ્વારા ચાલતી અમર ડેરીના માધ્યમથી ૩૫ હજાર પરિવારોને રોજગારી મળે છે. આ મધ ઉછેર કેન્દ્રથી તેનાથી પણ વધુ પરિવારોને રોજગારી મળવાની શકયતા છે તેમ તેમણે જણાવ્યું હતું.આ હની પ્લાન્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનો બનાવાશે અને તેના માટે રૂા.૭૫ કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત અમર ડેરીના નવા બનેલ બિલ્ડીંગનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું હતું.